કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટીય સરહદ પરના આગળના વિસ્તારોની મુલાકાત લીધી. આ તેમની જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાતની શરૂઆત છે.
ગૃહમંત્રીએ હીરાનગર સેક્ટરમાં ગુરનામ અને બોબિયાન સરહદ ચોકીઓની મુલાકાત લીધી અને સરહદની રક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી  ફોર્સના કર્મચારીઓ સાથે વાતચીત કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ આતંકવાદીઓની ઘૂસણખોરી અને હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે સરહદ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાનો હતો.
છેલ્લા બે અઠવાડિયામાં, કઠુઆ, ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ચાર કુખ્યાત જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની હત્યાનો પણ સમાવેશ થાય છે.
અમિત શાહ ગુરુવારે રાત્રે જમ્મુ પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કઠુઆમાં, ગૃહમંત્રીએ બોબિયાનમાં સરહદ સુરક્ષા કર્મચારીઓ માટે છ કલ્યાણકારી યોજનાઓનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વધુમાં, આજે તેઓ જમ્મુના લોકભવન ખાતે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને કેટલાક આતંકવાદી પીડિતોના પરિવારોને કરુણાપૂર્ણ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. શનિવારે, ગૃહમંત્રી જમ્મુ અને કાશ્મીરના વિકાસ અંગે એક બેઠકની અધ્યક્ષતા કરશે.