સમગ્ર રાજ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસના પવિત્ર દિવસે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ખાંભા ગીરના તાલડા, ચાતુરી પીપળવા, ખડાધાર, ભાવરડી, બોરાળા, ચકરાવાપરા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન ગ્રામજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ભૂતકાળમાં પણ અનેક વખત ભીમ અગિયારસના દિવસે વાવણીલાયક વરસાદ નોંધાયો છે. આ પરંપરાને જાળવી રાખતા હોય તેમ, અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડીયા અને તેના આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ઢળતી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. લગભગ એક કલાક સુધી સતત વરસેલા એક ઇંચથી વધુ વરસાદને કારણે વડીયાની બજારો પાણી-પાણી થઈ ગઈ હતી. જોકે, આ વરસાદને કારણે ખેડૂતોમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળુ પાકની આખરી સિઝન ચાલી રહી હોવાથી, કેટલાક ખેતી ક્ષેત્રોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે, જે ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું, તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો હતો અને તેમનામાં ખુશી જોવા મળી હતી. આ વરસાદને કારણે લોકોમાં એક જ ચર્ચા હતી કે મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવી લીધું છે, જે પરંપરાગત માન્યતાઓને ફરી એકવાર જીવંત કરી ગયું હતું. લીલીયા તથા આજુબાજુના ગામોમાં બપોર બાદ અસહ્ય બફારો થતા સાંજના સમયે અમી છાંટણા વરસ્યા હતા. સામાન્ય વરસાદથી રોડ પર પાણી વહી ગયા હતા. વરસાદનું ઝાપટું પડતા જ રાબેતા મુજબ વીજળી ગૂલ થઈ ગઈ હતી.