રાજય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને પણ બદલીનો લાભ આપતા અમરેલી જિલ્લાની શાળામાંથી ઘણા શિક્ષકો વતનનો લાભ લઈ બદલી થયા છે પરંતુ જે શાળાઓમાં આ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે તે શાળાઓમાં રાજય સરકાર દ્વારા હજુ કોઈ શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર થવાની સંભાવના છે. રાજય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો માટે બદલી કેમ્પ જાહેર થતા જ અમરેલી જિલ્લાની શાળાઓમાંથી ઘણા શિક્ષકોએ વતનનો લાભ લીધો હતો. શિક્ષકો પોતાના વતનની શાળાઓમાં જતા રહેતા જિલ્લાના મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ જાવા મળી રહી છે. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી મુજબ માધ્યમિકમાં ૮૬ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૧૩ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. બગસરા મેઘાણી હાઈસ્કૂલમાંથી પણ એકાઉન્ટના ટીચરોની બદલી થઈ ગઈ છે. તો બગસરા તાલુકાની બે શાળાઓમાં તો કોઈ કાયમી શિક્ષકો ન હોવાથી શિક્ષણકાર્ય ખોરંભે ચડ્યુ છે. આ બાબતે રાજયના શિક્ષણમંત્રીને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી.
સોમવારે શાળાનું વેકેશન ખુલવા જઈ રહ્યું છે ત્યારે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ખાનગી શાળાઓ તરફ વળ્યા હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યાં છે.