શિક્ષકો હળવેથી કાન આમળીને બાળકોનું ઘડતર કરે છે ઃ ધારાસભ્ય કૌશિક વેકરીયા

અમરેલી,તા.૦પ
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ ખાતે યોજાયેલા અમરેલી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ આપીને બાળકોનું સર્વાંગીય ઘડતર કરવામાં મદદરુપ થાય છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના બે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક સાથે રુ. ૧૫ હજારનો ચેક આપીને અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા શિક્ષકોનું પણ પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યુ હતું. જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો ભાવિ પેઢીના ઘડતર થકી ‘રાષ્ટ્રનિર્માણ’ માટે સમર્પિત છે. ગુજરાતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે અત્યાધુનિક ‘સ્માર્ટ’ ટેકનોલોજી થકી અધ્યયનને પણ અપનાવ્યું છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર અને ચરિતાર્થ કરવામાં પાયારુપ ભૂમિકા અદા કરતાં શિક્ષકો તૈયાર કરવા માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન’ની સ્થાપના કરીને ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો છે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ કે, આજનો દરેક વિદ્યાર્થી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આપણા શિક્ષકો હળવેકથી કાન આમળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે. તેમણે પારિતોષિક વિજેતા તમામ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે દરેક શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે. શિક્ષકોની તમામ ગુણવત્તાઓ સીધી જ તેમના વિદ્યાર્થીઓમાં ઉતરી આવે છે. બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવું જરુરી છે. જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી, વલ્લભભાઈ રામાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિયાણી, બી.આર.સી અને સી.આર.સી, અધિકારી, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.