અમરેલી જિલ્લા વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં માર્ગ સલામતી વિષયક તાલીમ કાર્યક્રમો અને ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે. જૂન માસના બીજા સપ્તાહથી શાળાઓના નવા સત્રનો પ્રારંભ થતા જ, બાળકોના અકસ્માત ઘટાડવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા વિષયક અને માર્ગ પર રાખવાની સાવચેતી વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે દ્વિચક્રી વાહનનો ઉપયોગ ન કરે તે માટે તેમને સુશિક્ષિત કરવા પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ શાળાએ આવવા-જવા માટે સ્કૂલ વાન કે ઓટોનો ઉપયોગ કરે અને તે વાહનોમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ ન બેસે તે માટે વાલીઓને પણ જાગૃત બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.