અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પ્લેનમાં સવાર મુસાફરો સહિત હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મળીને ૨૯૦થી વધુ લોકોના મોત થયા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ લોકોના પણ મૃત્યુ થયા હતા. જેમાં ૨ પાયલટ અને ૧૦ ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં ૧૨૮ પુરુષ મુસાફરો અને ૧૧૪ મહિલા મુસાફરો હતો. પ્લેનમાં સવાર મુસાફરોમાં ૧૬૯ ભારતીયો અને ૫૩ બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગિઝ નાગરિકો હતા. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ
હતા.

અમરેલીના જીતેન્દ્રભાઈ પડસાલા (રાધે નર્સરી વાળા)ની દિકરી રિદ્ધી પડસાલા (ઉ.વ.૨૮)ના લગ્ન રાજકોટના યુવાન સાથે થયા હતા.
મૃતક દોઢ મહિનાથી અમરેલી આવી હતી. તેના પતિ લંડનમાં રહે છે. પતિ પાસે જતી વખતે બનેલી દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. તેના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

વડીયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા એર ઈન્ડિયાની ફ્‌લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. તેમના પત્નીને કેન્સર હતું અને થોડા દિવસ પહેલા લંડનમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. પત્નીના અવસાન બાદ વતનમાં કેટલીક વિધિ કરવા અને ફૂલ પધરાવા માટે આવ્યા હતા. તેમની બંને દીકરી લંડન રહે છે. લંડનના ગ્રુપમાં તેમણે “આઈ એમ કમિંગ”નો મેસેજ પણ લખ્યો હતો. વતનમાં તેઓ પત્નીની ધાર્મિક વિધિ પતાવીને લંડન જતા હતા ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું.

અમરેલીના વડીયાના તોરી-રામપુર ગામના અને હાલ અમદાવાદ રહેતા કાંતાબેન ધીરૂભાઈ પાઘડાળ (ઉ.વ.૭૦) પુત્રને મળવા જતા હતા. તેમની સાથે તેમની પૌત્રી નાવ્યા પાઘડાળ (ઉ.વ.૪) પણ હતી. નાવ્યાના માતા-પિતા લંડનમાં રહેતા હોય દાદી-પૌત્રી તેમને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.

મૂળ અમરેલીના અને વર્ષોથી અમદાવાદ રહેતા રહેતા બાબુભાઈ લાલજીભાઈ હિરપરા ઉંમર વર્ષ ૬૫ અને વિમળાબેન બાબુભાઈ હિરપરા ૬૩ આ દંપતી લંડન રહેતા પોતાના પુત્રને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. તેઓ અમરેલીના જે.બી. કાબરીયાના બેન-બનેવી અને ઘનશ્યામભાઈ સર્જક આર્ટ વાળાના કાકા છે.
આભાર – નિહારીકા રવિયા