અબોટ કોને કહેવાય ? અબોટ પાળવું એટલે શું ?
અબોટ એટલે બોટ્યા વગરનું. બોટવું એટલે એઠું કરવું અથવા અભડાવવું. અબોટ એટલે પવિત્ર. નાહ્યા પછી બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિને અડ્યા વગર રસોડામાં કામ કરવું કે પાણી ભરવું એને અબોટ કહેવાય.
– અબોટ પાળવું એટલે
નાહીને રેશમી અથવા ધોયેલાં વસ્ત્રો પહેરીને રસોઈ બનાવવી અને રસોઈ બનીને ભગવાનને ધરાવાય નહીં ત્યાં સુધી કોઈને અડવું નહીં તે.
નાહીને જ રસોડામાં જવું.
બીજી કોઈ વ્યક્તિને રસોઈને અડવા ન દેવી તે.
નાહીને ધોયેલાં વસ્ત્રો પહેરીને અથવા રેશમી વસ્ત્રો પહેરીને શુદ્ધ થઈને અન્ય કોઈને અથવા કશાને અડ્યા વગર જમવું તે.
અબોટ એટલે શુદ્ધતા અને પવિત્રતા.
– એંઠું અને જૂઠું કોને કહેવાય ?
પાણીમાં રાંધેલું અન્ન એઠું કહેવાય. કેળના, દૂધના, મૂળાના પાણીમાં લોટ બાંધીને બનાવેલા પાપડ, થેપલાં, દૂધથી લોટ બાંધીને બનાવેલી દશમી એંઠી ન કહેવાય. ગાંઠિયા, સેવ, શક્કરપારા એંઠા કહેવાય, ચેવડો એંઠો ન કહેવાય.
પોપટે ચાંચ મારી હોય તે પોપટનું જૂઠું કહેવાય, માણસે બટકું ભર્યું હોય, કોળિયો લીધો હોય તેવા પદાર્થો જૂઠા કહેવાય. જૂઠું એટલે ઉચ્છિષ્ટ.
એંઠુંજૂઠું એવો શબ્દપ્રયોગ છે પણ વ્યવહારમાં જૂઠાને પણ એઠું કહેવાનું પ્રચલન છે.
પંગત જમી ઉઠે પછી નીચે ઢોળાયેલું અન્ન, થાળીમાં વધેલું અન્ન ભેગું કરી લેવામાં આવે એ અન્નને એંઠવાડ કહેવાય.
– ફરાળી વાનગી કોને કહેવાય ?
ફરાળ એ મૂળ તો ‘ફળાહાર’નું અપભ્રંશ છે. તેથી ફળના આહારને ફરાળ કહેવાય. પરંતુ વ્યવહારમાં ઉપવાસ, એકટાણાં, વ્રત વગેરેમાં રોજના અન્નને બદલે હલકો આહાર લેવામાં આવે તેને ફરાળ કહેવાય છે.
જુદા-જુદા સંપ્રદાયોમાં, જુદા-જુદા પ્રાન્તમાં જુદી-જુદી વાનગીઓ ફરાળી ગણાય છે.
દાખલા તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાં રોટલી ફરાળમાં ન ગણાય પરંતુ કર્ણાટક, કેરળ વગેરે દક્ષિણનાં રાજ્યોમાં રોટલી ફરાળી વાનગી ગણાય છે.
ક્યાંક દૂધી ફરાળી ગણાય છે, ક્યાંક નથી ગણાતી.
ક્યાંક તેલ, હળદર વગેરે ફરાળમાં ચાલે છે ક્યાંક નથી ચાલતા.
ક્યાંક અને ક્યારેક મોરૈયો ફરાળમાં ચાલે છે ક્યાંક અને ક્યારેક નથી ચાલતો.
ક્યાંક ઉપવાસ હોય તો ચા નથી પીતા, ક્યાંક પીએ છે.
ટૂંકમાં ફરાળનું શાસ્ત્ર એ હવે શાસ્ત્ર રહ્યું નથી, સગવડ, સ્વાદ, વૈવિધ્ય વગેરેનું મિશ્રણ બની ગયું છે.
– અખાજ એટલે શું ?
અખાજ એટલે ખાવાનો નિષેધ હોય તેવો પદાર્થ. દાખલા તરીકે બ્રાહ્મણ માટે ડુંગળી લસણ અખાજ કહેવાય, જૈનો માટે કંદમૂળ અખાજ કહેવાય, હિંદુમાત્ર માટે ગોમાંસ અખાજ કહેવાય.
જેમ પ્રાણીઓમાં જીવ છે તેમ વનસ્પતિમાંય જીવ છે. જો પ્રાણીઓને મારી ખાવામાં હિંસા ગણાય તો વનસ્પતિ ખાવામાં હિંસા ન ગણાય ?
પ્રકૃતિમાતાએ પ્રત્યેક જીવને પેદા કર્યો તે સાથે તેના આહારને પણ પેદા કર્યો છે. નિર્જીર્વ હોય તેવું કશું જ કોઈને માટે અન્ન ન બની શકે. દાખલા તરીકે પથ્થર, માટી વગેરે કોઈનું અન્ન નથી. તેથી જ સૂત્ર છે ‘જીવો જીવસ્ય જીવનમ’ એટલે કે એક જીવ બીજા જીવનું જીવન છે એટલે કે જીવન ટકાવી રાખનાર અન્ન છે. પ્રકૃતિએ જેને માટે જે આહાર નિર્ધારિત કર્યો હોય તે આહાર કરવામાં હિંસા ગણાય નહીં. દાખલા તરીકે સિંહ હરણાંને મારે અથવા બિલાડી ઉંદરને મારીને ખાય તો એ એમને માટે હિંસા નથી. તેમ માણસને માટે આહાર તરીકે વનસ્પતિ નિર્ધારિત થયેલી છે તેથી તે વનસ્પતિ ખાય તો હિંસા ન ગણાય, માંસ ખાય તો હિંસા ગણાય.
(ક્રમશઃ)