૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુની રાજનીતિમાં વાણી-વર્તન તીવ્ર બન્યું છે. રાજ્ય ભાજપે શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) અને તેના સાથી કોંગ્રેસ વચ્ચે ગંભીર મતભેદોનો દાવો કર્યો છે. તમિલનાડુ ભાજપના પ્રવક્તા એ.એન.એસ. પ્રસાદે આરોપ લગાવ્યો કે સીટ-શેરિંગ અને સત્તા વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક કોંગ્રેસ નેતાઓએ ૪૫ વિધાનસભા બેઠકો અને સરકારમાં ભાગીદારીની માંગ કરી છે, જેના કારણે ગઠબંધનમાં તણાવ વધ્યો છે.પ્રસાદે એવો પણ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન કોંગ્રેસ નેતૃત્વ, ખાસ કરીને રાહુલ ગાંધીના દબાણ હેઠળ છે. તેમણે કોંગ્રેસના નેતાઓના તાજેતરના નિવેદનોને ગઠબંધનમાં નબળાઈની નિશાની ગણાવી.
ભાજપ પ્રવક્તાએ ‘કલાઈગ્નાર માગલીર ઉરીમાઈ થોગાઈ’ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને ૫,૦૦૦ રૂપિયાની એક વખતની ચુકવણીની રાજ્ય સરકારની જાહેરાત પર પણ નિશાન સાધ્યું. તેમણે તેને ચૂંટણી યુકિત ગણાવી અને આરોપ લગાવ્યો કે આ પગલું મતદારોને પ્રભાવિત કરવા માટે લેવામાં આવ્યું છે.
પ્રસાદે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય લોકશાહી જાડાણ તમિલનાડુમાં સતત મજબૂત થઈ રહ્યું છે. આ ગઠબંધનમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ , ભાજપ, પીએમકે અને અન્ય પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય છે. ચેંગલપટ્ટુ-મદુરંતકમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની જાહેર રેલીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ડબલ-એનજીન સરકાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારું સંકલન શકય છે. ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે ડીએમકે એઆઇએડીએમકેને દિલ્હીના આધીન તરીકે દર્શાવીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે વધતા દેવા અને અધૂરા વચનો જેવા મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે.
કોંગ્રેસના નેતાઓ દલીલ કરે છે કે ગઠબંધનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવવા છતાં, પાર્ટી ૧૯૬૭ થી તમિલનાડુમાં સત્તામાં નથી. તેઓ ઐતિહાસિક ઉદાહરણો આપે છે – ૧૯૮૪ માં ૬૧ બેઠકો, ૧૯૯૧ માં ૬૦ બેઠકો અને ૨૦૦૬ માં ૩૪ બેઠકો જીતવા છતાં – કે કોંગ્રેસ શાસક માળખાની બહાર રહી. ૨૦૨૧ માં, ડીએમકેએ ૧૭૩ માંથી ૧૩૩ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે ૨૫ માંથી ૧૮ બેઠકો જીતીને વધુ સફળતા દર નોંધાવ્યો હતો. સૂત્રો કહે છે કે કોંગ્રેસ હવે ૪૫ બેઠકો સુધી અને યુવા નેતાઓ માટે વધુ તકોની માંગ કરી રહી છે, ચેતવણી આપી રહી છે કે અસંતોષ પાયાના કાર્યકરોને વિજયની ટીવીકે પાર્ટી તરફ ધકેલી શકે છે.
જાકે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ૩ ડિસેમ્બરે મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મળ્યું હતું, જેનાથી તણાવ ઓછો થતો જણાતો હતો, પરંતુ તમિલનાડુમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નિરીક્ષકે જાહેરમાં ગઠબંધન સરકાર મોડેલની હિમાયત કર્યા પછી આ મુદ્દો ફરી ઉગ્ર બન્યો હતો.
ડીએમકે દ્વારા ગઠબંધન વાટાઘાટો શરૂ કરવા માટે ઔપચારિક સમિતિ બનાવવામાં વિલંબ થવાથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ ગુસ્સે થયા હતા. ૨૫ જાન્યુઆરીએ દિલ્હીમાં એક બેઠકમાં, રાહુલે ડીએમકેના ઉપ-મહામંત્રી કનિમોઝીને પોતાની નારાજગી વ્યક્ત કરી, બિહાર વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન ટાળવા માટે ટૂંક સમયમાં બેઠક વહેંચણી વાટાઘાટો શરૂ કરવા વિનંતી કરી, જ્યાં કોંગ્રેસને ૬૧ માંથી માત્ર છ બેઠકો મળી હતી.








































