અમરેલીમાં ઓઇલ મીલમાં કામ કરતી એક યુવતીએ “હું તમારી કાંઈ વાતો કરતી નથી” તેમ કહેતા તલવાર લઈને મારવા દોડ્‌યા હતા. પીર ખીજડીયા ગામની યુવતીએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે બાબરાના પીર ખીજડીયા ગામે રહેતી ક્રિષ્નાબેન અશોકભાઈ દેલવાડીયા (ઉ.વ.૨૧)એ બાબરાના ખાખરીયા ગામે રહેતા ખોડાભાઈ રંગપરા, અસ્મીતાબેન રંગપરા તથા ખોડાભાઈના માતા-પિતા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ મીલ ખાતે મજૂરી કામે આવ્યા હતા.ઉપરાંત કારખાનામાં અંદર જતા હતા તે વખતે આરોપીએ તેમને કહેલ કે “અમારી ખોટી વાતો શું કામ કરે છે.” જેથી તેમણે કહ્યું, “હું તમારી કાંઇ વાતો કરતી નથી” તેમ કહેતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બાખોડીયા ભરીને ડાબા હાથ તથા ગાલ ઉપર માર મારી મુંઢ ઇજા કરી હતી. સાહેદ સંગીતાબેન વચ્ચે પડતા તેને પણ આરોપીએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જતા રહ્યા હતા.જે બાદ ફરિયાદીએ તેના બાપુજી તથા બા’ને બોલાવ્યા હતા. તેના બાપુજી તેને ઘરે લઇ જતા હતા ત્યારે ફરીવાર આરોપી આવ્યા હતા અને ગાળો દઈ તલવાર લઇ મારવા દોડ્યા હતા.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.