મધ્યપ્રદેશના સોનમ અને રાજા પછી, સિક્કિમમાં હનીમૂન પર ગયેલું વધુ એક નવપરિણીત યુગલ ગુમ થયું છે. ૧૧ દિવસથી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે રાજા અને સોનમનો કેસ ઉકેલી નાખ્યો છે. રાજાનો મૃતદેહ પહેલા મળી આવ્યો હતો. હવે સોનમ પણ યુપીના ગાઝીપુરમાં સલામત મળી આવી છે. દરમિયાન, યુપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત યુગલ કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારના સભ્યો કહે છે કે “અત્યાર સુધી એક પણ ચંપલ મળ્યો નથી.
લાલગંજ તહસીલ વિસ્તારના રાહતિકર ગામના રહેવાસી કૌશલેન્દ્ર અને અંકિતા હનીમૂન પર સિક્કિમ ગયા હતા. જે વાહનમાં બંને મુસાફરી કરી રહ્યા હતા તે વાહન ૨૯ મેના રોજ અકસ્માતમાં ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતને ૧૧ દિવસ થઈ ગયા છે, પરંતુ બંનેના કોઈ સમાચાર નથી. આ વાહનમાં મુસાફરી કરી રહેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી એક જનરલ વોર્ડમાં અને બીજા આઈસીયુ વોર્ડમાં દાખલ છે. આ લોકોએ એ પણ પુષ્ટિ આપી છે કે કૌશલેન્દ્ર અને અંકિતા ટ્રાવેલરમાં તેમની સાથે હાજર હતા.
સર્ચ ઓપરેશનમાં રોકાયેલી ટીમને ટ્રાવેલરમાં સવાર લોકોના ઘણા સામાન મળ્યા છે, પરંતુ આમાંથી કોઈ સામાન કૌશલેન્દ્ર કે અંકિતાનો નથી. કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે. તેઓ કહે છે કે, “અત્યાર સુધી જે સામાન, કપડાં, જૂતા, ઘડિયાળ, ચશ્મા, બેગ મળી આવ્યા છે તેમાંથી કોઈ પણ મારા દીકરા કે પુત્રવધૂનો નથી. જ્યાં સુધી હું તેમને શોધી ન લઉં ત્યાં સુધી હું સિક્કિમ છોડીશ નહીં.” તેમણે દેશવાસીઓને દંપતીના સુરક્ષિત પરત આવવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કૌશલેન્દ્ર અને અંકિતાના લગ્ન ૫ મેના રોજ થયા હતા અને બંને ૨૫ મેના રોજ હનીમૂન માટે સિક્કિમ ગયા હતા. પટ્ટીના ચિવલ્હા ગામના રહેવાસી અંકિતાના પિતા વિજય સિંહ ડબ્બુ પણ સરકાર પાસેથી આશાની રાહ જોઈ રહ્યા છે. વિજય સિંહે કહ્યું કે તેમણે ૨૯ મેના રોજ તેમની પુત્રી સાથે વાત કરી હતી અને તે ખૂબ જ ખુશ હતી, પરંતુ ત્યારથી તે ગુમ છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છે. જોકે, તેમને હજુ પણ ભગવાનમાં શ્રદ્ધા છે અને તેઓ તેમની પુત્રી અને જમાઈના સુરક્ષિત પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.
કૌશલેન્દ્રના દાદા અને ભાજપ નેતા ડા. ઉમ્મેદ સિંહ ‘ઇન્સાન’ એ પણ આ ઘટના પ્રત્યે સરકારની ઉદાસીનતા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “મેં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, મહામહિમ રાજ્યપાલ, ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, પીએમઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્્યાંયથી કોઈ નક્કર પ્રતિભાવ મળ્યો નહીં. અમે વર્ષોથી પાર્ટીની સેવા કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે કટોકટી આવી, ત્યારે કોઈ અમને મળવા પણ આવ્યું નહીં.” તેમણે કહ્યું કે ઓડિશા સરકારે, જ્યાં તેમનો પક્ષ સત્તામાં છે, તાત્કાલિક ધ્યાન લીધું અને વહીવટને સક્રિય કર્યો, જ્યારે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો.