શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વરાછા બેંક ઓડિટોરિયમ ખાતે ૧૧૫મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી અને કાનજી ભાલાળા અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લહેરીએ ‘જીવન અને વ્યવસ્થાપન’ વિષય પર બોલતા જણાવ્યું હતું કે, “જીવન વ્યવસ્થાપન માટે વિચારોનું વાવેતર શ્રેષ્ઠ ઉપાય છે.” તેમણે સુખી જીવન માટે સમય, સંયમ, સમતા, સંવાદિતા, સહયોગ, સંસ્કાર અને સંબંધોને સાત મહત્વના સ્ત્રોત ગણાવ્યા હતા. કાનજી ભાલાળાએ તેમના ૧૧૫મા વિચારમાં જણાવ્યું કે, “જીવનનું સારું વ્યવસ્થાપન જ ખુશીનો ખરો આધાર છે.” તેમણે સફળ જીવન માટે સરળતા, સહજતા અને કાર્ય પ્રત્યેની સજ્જતાને મંત્ર ગણાવ્યા હતા. આ કાર્યક્રમમાં લહેરી અને તેમના ધર્મપત્ની નિલાબેન લહેરીનું વિવિધ સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.