સાવરકુંડલાના મઢડા ગામે વિધવા સાથે આડાસંબંધના મનદુઃખમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકનું મોત થતાં કેસ હત્યામાં પલટાયો હતો. ગઈકાલે ખેતી કરતા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો જેનું સાચું કારણ પોલીસ ફરિયાદ બાદ સામે આવ્યું છે. બનાવ સંદર્ભે વિરડી ગામે રહેતા ગોરધનભાઈ જેરામભાઈ ગોહીલ (ઉ.વ.૪૬)એ મઢડા ગામે રહેતા જીવાભાઇ રામભાઇ ભાલીયા, હરેશ ઉર્ફે હકો જીવાભાઇ ભાલીયા, જયદીપ હરેશભાઇ ભાલીયા, ઘનશ્યામભાઇ કરમશીભાઇ ભાલીયા, દાનુભાઇ જીવાભાઇ ભાલીયા, પુંજાભાઇ અરજણભાઇ ભાલીયા, જયરાજ પુંજાભાઇ ભાલીયા, મેરાભાઇ બચુભાઇ ભાલીયા તથા નિલેશભાઇ વિનુભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મરણજનાર પરશોતમ ઉર્ફે છનાભાઇ જેરામભાઇ ગોહિલને જીવાભાઈ રામભાઈ ભાલીયાના દીકરા વિનુભાઇની વિધવા પત્ની સાથે આડા સંબંધ હોવાની વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી બનાવી લાકડીઓ, પ્લાસ્ટીકના પાઇપ અને કમરપટ્ટા જેવા હથિયારો વડે તથા ઢીકાપાટુથી મરણજનારને શરીરે આડેધડ જીવલેણ માર મારી ઇજા પહોચાડી હતી. ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.