નિયામક-આયુષની કચેરી, ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ, ડો. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું, પીઠવડી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારના રોજ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. નિદાન અને સારવાર ઉપરાંત, નિષ્ણાત વૈદ્યો દ્વારા ગ્રામજનોને દિનચર્યા અને ઋતુચર્યાનું મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હાજર રહેલા લોકોને સંશમની વટી અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનાથી લોકોએ આયુર્વેદિક ઉપચારનો લાભ લીધો હતો.










































