અમદાવાદના સરખેજમાં રહેતા ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર , તેની પત્ની ભારતી ઠાકોર અને ટીના ઠાકોરની ૧૪ વર્ષની સગીરાને અપહરણ કરી રાજસ્થાનમાં વેચી દેવાના કેસમાં સરખેજ પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ૨૯ એપ્રિલના રોજ ૧૪ વર્ષની સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના પાલક માતા પિતાએ શોધખોળ કરી પરતુ તે મળી આવી ન હતી. આ ઉપરાંત પાડોશમાં રહેતા દંપતિ ભરત ઠાકોર અને તેની પત્ની ભારતી ઘરેથી ગાયબ હતા. જેથી પાલક માતા પિતાએ તપાસ કરતા આ દંપતીએ સગીરાનું અપહરણ કરીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી વેચી દીધી હતી. જે મામલે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાસકાંઠા નજીક તેને સલામત મુક્ત કરાવી હતી. જ્યારે સગીરાનું અપહરણ કરનાર દંપતી સહિત ૩ ની ધરપકડ કરીને સગીરાને લગ્ન માટે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ પાડોશી દંપતી મૂળ મહેસાણાના રહેવાસી છે અને આરોપી ટીના ઠાકોર બનાસકાંઠાના ભાભોર જિલ્લાની વતની છે. આ ટોળકી સાથે અન્ય ચાર વોન્ટેડ આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં બનાસકાંઠાનો વનરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હીના રાઠોડ અને રાજસ્થાનના વીરસિંહ રાઠોડ સમાવેશ થાય છે. આ ટોળકી સગીરાનું અપહરણ કરીને લગ્નના બહાને વેચી દેતા હતા. સરખેજની ૧૪ વર્ષની સગીરાને ૫ લાખમાં વેચી હતી. આ સગીરાને લગ્નના બહાને એક રાત્રિ મોકલી અને પરત લઈ આવ્યા હતા. આ રીતે રાજસ્થાનના યુવક વીરસિંહ સાથે પૈસા લઈ ઠગાઈ કરી હતી. જોકે પાડોશી દંપતી ભરત ઠાકોર અને ભારતી સિવાય અન્ય વચેટિયા હોવાનું ખુલાસો થતા પોલીસે આ નેટવર્કને લઈ ને તપાસ શરૂ કરી છે.
સગીરાને વેચી દેવાના નેટવર્કની તપાસ મામલે સરખેજ પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર ચાર આરોપીની પકડવાની શોધખોળ હાથ ધરી છે. આ નેટવર્ક રાજસ્થાન અને ગુજરાત સુધી જ સીમિત છે કે અન્ય કોઈ રાજ્યોના લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાય છે.