રુચિર શર્મા એક આર્થિક પત્રકાર, રણનીતિકાર, વિશ્લેષક અને લેખક છે. આર્થિક જગતના ગણમાન્ય સંસ્થાનો અને પ્રકાશનો સાથે જોડાયેલા ભારતીય છે અને આર્થિક જગતમાં એમનાં અવલોકનો અને અભિપ્રાયોને આદરથી જોવામાં આવે છે. પચીસ વર્ષોના વિશ્વ પરિભ્રમણ અને એ દરમિયાન રાષ્ટ્રોના આગેવાનો, ઉદ્યોગપતિઓ, ગ્રામીણ જનતા સાથેની મુલાકાતોના નિષ્કર્ષ રૂપે એમણે ‘ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ધ નેશન્સ’ નામની એક બુક લખી છે. આ બુક દ્વારા એમણે કોઈપણ દેશના ભવિષ્યને નક્કી કરતા ઘણા બધા પરિમાણોમાંથી દશ અલગ તારવ્યા છે. જે મહદઅંશે આર્થિક જગતને લાગુ પડતા છે. ખૈર, એ એક આખો આર્થિક વિષય છે. પણ એ બુકની પ્રસ્તાવનામાં રુચિર શર્મા એક આફ્રિકન દેશની વાર્તા કહે છે. જેમાં એક રાજા પોતાના પુત્રને ગાદી સોંપતા પહેલા જંગલમાં મોકલે છે અને જંગલને સાંભળવાનું કહે છે. પ્રથમ દિવસે રાજકુમારને માત્ર કીડા અને પક્ષીઓનો અવાજ જ સંભળાય છે. એ શોર વચ્ચે એ માત્ર હાથીની ચિંઘાડ અને સિંહની ગર્જના જેવા મોટા અવાજોને જ સાંભળી શકે છે. રાજા ફરી ફરીને રાજકુમારને ત્યાં સુધી જંગલમાં મોકલે છે, જ્યાં સુધી એ જંગલના અન્ય પ્રાણીઓ અને પક્ષીઓના શોરબકોર વચ્ચે સાંપનો ફૂંફાડો અને પતંગિયાની પાંખોનો ફફડાટ સાંભળી શકવા સક્ષમ બને. રાજાએ રાજકુમારને એવું કહીને જંગલમાં મોકલ્યો હતો કે એણે ત્યાં સુધી જંગલમાં જવું જોઈએ જ્યાં સુધી એ ઠેહરાવમાં ખતરાની ઘંટી અને સુર્યોદયમાં આશાની કિરણ ન જોઈ લે. રાજકુમારે એ પણ સાંભળવું જોઈએ જે અવાજ નથી કરતુ. જે અવાજ નથી કરતુ એ જો તમે સાંભળી શકો તો તમારી નિર્ણય અને તર્ક શક્તિ ધારદાર બને છે. વાર્તા નાનકડી છે. બોધ ખુબ મોટો છે. અને આર્થિક જગત સિવાય બીજા બધાને પણ લાગુ પડે છે. જે લાંબા ભવિષ્ય અંગે વિચારે છે, ભલે પછી તે અંગત જીવન હોય, આર્થિક એકમ હોય કે દેશ, એણે આવા પરિબળોને ઓળખીને અનુમાન બાંધવા જરૂરી થઇ જાય છે. આ અનુમાન બાંધવાની અને એ આધારે ભવિષ્યનું આયોજન કરવાની દ્રષ્ટિને દીર્ઘદ્રષ્ટિ કહે છે. બહારનો શોરગુલ અને હો દેકારા વચ્ચે દેશની પ્રગતિ માટે જરૂરી સંકેતો અને જોખમો જોઈ લેવા દેશ કે કારોબાર ચલાવતી વ્યક્તિ માટે અગત્યનું છે. આર્થિક એકમ અને દેશ ચલાવવા વચ્ચે ખુબ અંતર છે. દેશમાં કેન્દ્રવર્તી જે ઓબ્જેક્ટ છે તે જીવંત છે.. દેશની જનતા અને દેશની ચેતના. જયારે આર્થિક એકમના કેન્દ્રનો ઓબ્જેક્ટ નાણું હોય છે. દેશની અંદર રહેલા દેશને અવરોધતા પરિબળોને પીછાણ્યા વિના પ્રગતિનું અનુમાન કે આયોજન કરવું ડહાપણ નથી. દેશની અંદર કોઈ વ્યક્તિ, વસ્તીનો કોઈ તબક્કો, કોઈ વિસ્તાર, કોઈ સંસ્થા, કોઈ સંગઠન કે જે દેશના મુખ્યપ્રવાહ સાથે નથી ચાલી રહ્યો, એ દેશની પ્રગતિની ગતિને જરૂર ધીમી પાડશે. આજના ગ્લોબલ વિલેજના કોન્સેપ્ટમાં આ બધું દેશની બહાર પણ હોઈ શકે છે. જ્યોર્જ સોરોસ જેવો અમેરિકન ઉદ્યોગપતિ હિન્દુસ્તાનને પછાડવા ઉત્સુક હોય અને દેશની અંદર તેને મદદ કે ટેકો કરતા દોગલાઓ હાજર હોય એ સિનારિયો તાજો જ છે. હિંડનબર્ગ જેવું સાત આઠ સભ્યો ધરાવતું એક આર્થિક સર્વેક્ષણ એકમ ભારતના શેરબજારને પછાડવા સતત મથતું રહે એ પણ તાજા તાજા હિન્દુસ્તાની અનુભવો છે. એ સિવાય દેશના અને વિદેશના ઘણા વ્યક્તિ વિશેષો કે જેની ફુલટાઈમ પ્રવૃત્તિ હિન્દુસ્તાનની ઘોર ખોદવાની જ છે તેઓ બધા આ કેટેગરીમાં આવે છે. દેશમાં બોમ્બ ફોડીને એક ચોક્કસ દેશમાં ભાગી જતા આતંકવાદીઓ, દેશની બેંકોને મોટા આર્થિક નુકસાનમાં ઉતારીને યુરોપના કોઈ દેશમાં સંતાઈ જતા આર્થિક આતંકવાદીઓ, દેશમાં રહીને દેશના કરદાતાઓના કરમાંથી થયેલી આવકમાંથી સબસિડી ચાટતી અને દેશને ગાળો આપે રાખતી જીવાતો, રેલવેના પાટા પર આડશો મૂકીને ટ્રેન ઉથલાવવાના કાવતરા કરતા હરામખોરો, દેશ વિરોધી નેરેટિવને સતત પ્રસારતા છાપાઓ અને ટીવી ચેનલોના પત્રકારો એ બધા પેલી વાર્તાના રાજકુમારે સઘન અભ્યાસ બાદ જંગલના ઘોંઘાટ વચ્ચે સાંભળેલા સાંપના ફૂંફાડા છે. દેશ ચલાવતા આદમીએ એ સાંભળતા રહેવા જોઈએ. એક ચીની કવિએ લખેલું છે કે નાનો દગો શરાબમાં ડુબાડી શકાય છે જયારે મોટા આઘાત અન્યાય કે દગાને તરવારના ઝટકાથી કાપવો પડે છે.
ટેમ્પરરી કે અકસ્માત આગેવાન આ અવાજો સંભાળવાની શક્તિ કે દુરંદેશી નથી ધરાવતો હોતો. દેશના મુખ્યપ્રવાહ સાથે જેની વિચારધારા સમાંતર નથી તેવો આગેવાન આ ફૂંફાડાને પક્ષીઓનું મધુર ગાયન સમજે છે. જે અનુભવોના ઈતિહાસમાંથી બોધ નથી લેતો અને અવગણે છે તેની દાનત અંગે શંકા કરવાનો સૌને અધિકાર છે. નિર્ણયશક્તિ, હિમત, નિષ્ઠા જેવા સદગુણો એમની પાસેથી અપેક્ષિત પ્રાથમિક ચીજો છે. જેની પાસે દેશનું સૂત્રસંધાન છે એની લગામ એના પોતાના હાથમાં હોય એ જરૂરી છે. નાદિરશાહ હાથી પરથી ઉતરી ગયો હતો કારણકે એ જાનવરની લગામ મહાવતના હાથમાં હતી. એણે કહ્યું કે જે જાનવરની લગામ મારા હાથમાં ન હોય તેની સવારી હું નહિ કરું. ભારતે રીમોટથી ચાલતા શીર્ષસ્થ નેતૃત્વનો એક ખુબ નબળો સમય છાતી પર સહન કર્યો છે. જ્યાં ફૂંફાડાઓ મંચ શોભાવતા હતા અને પેલો પતંગિયાની પાંખોનો ફફડાટ કોઈ સાંભળતું નહોતું. આજે દેશ આ ફૂંફાડાઓને ઓળખવા લાગ્યો છે. વાતાવરણ એટલું સ્વચ્છ અને નીરવ થઇ ગયું છે કે ફૂંફાડો તરત સંભળાઈ શકે છે. જેણે રાજ કરવું હશે એણે ફૂંફાડા અને પતંગિયાની પાંખોનો ફફડાટ બંને સાંભળવા જોઇશે. હવે માત્ર રાષ્ટ્રવાદી વિવેકબુદ્ધિ સાથે કાન ખુલ્લા રાખવા એ જ પ્રાથમિક શરત છે. ક્વિક નોટ — આપણા ભય અને આપણી આશાઓ પ્રમાણે ઘટનાઓ નથી બનતી. યહૂદીઓ બાઈબલના એક્લેસીએસ્ટસના સદીઓ જુના ડહાપણમાં માને છે. એક સમય હોય છે પથ્થરો ફેંકવાનો અને એક સમય હોય છે પથ્થરો ભેગા કરવાનો… – થિયોડોર હર્ઝલ – યહૂદી ચિંતક.