સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ માહિતી આપી. રિજિજુએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખોની ભલામણ કરી છે. રિજિજુએ એવા સમયે ચોમાસુ સત્રની જાહેરાત કરી છે જ્યારે વિપક્ષી પક્ષોના નેતાઓ સરકાર પાસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે.
સરકારે નિયમો હેઠળ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે પણ સંમતિ આપી છે. વિપક્ષની આ માંગ અંગેના પ્રશ્નના જવાબમાં રિજિજુએ કહ્યું કે ચોમાસુ સત્રમાં નિયમો હેઠળ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
વીમા સુધારા બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરી શકાય છે. આ બિલ વીમા ક્ષેત્રમાં હ્લડ્ઢૈં ની મર્યાદા ૧૦૦% સુધી વધારવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, બિલનો ડ્રાફ્ટ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી પછી, નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ સંસદમાં બિલ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “અમે સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈએ બોલાવવાનો નિર્ણય લીધો છે અને તે ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ તારીખ નક્કી કરી છે અને અમે રાષ્ટ્રપતિને બંને ગૃહો બોલાવવા માટે પ્રસ્તાવ મોકલીશું.”
જસ્ટીસ યશવંત વર્મા સામેના મહાભિયોગ પ્રસ્તાવ અંગે તેમણે કહ્યું, ‘મેં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામેના મહાભિયોગ પ્રસ્તાવ અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. મોટાભાગના મુખ્ય રાજકીય પક્ષોને પહેલાથી જ જાણ કરવામાં આવી છે અને અમે એક સહયોગી પ્રયાસની માંગ કરી છે જ્યાં બધા રાજકીય પક્ષો એકસાથે આવે અને સંયુક્ત રીતે પ્રસ્તાવ રજૂ કરે.’અગાઉ, ભારત સરકારના સૂત્રોએ માહિતી આપી હતી કે સંસદના ચોમાસુ સત્રમાં, કેન્દ્ર સરકાર દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.
અગાઉ, સંસદનું બજેટ સત્ર આ વર્ષે ૩૧ જાન્યુઆરીએ શરૂ થયું હતું. ૨૦૨૫ના પ્રથમ સંસદ સત્રના અંત સાથે, ૪ એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યસભા બંનેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.