દામનગર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં છેલ્લા છ વર્ષથી ચાલી રહેલા લાંબા વિલંબ અંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગંભીર નોંધ લીધી છે. રાજ્યના તકેદારી આયોગના પત્ર અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની રજૂઆતને પગલે ગુજરાત સરકારે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય દ્વારા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્યના કમિશનરને પત્ર પાઠવીને આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ પત્રમાં ખાસ કરીને ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની એકપણ દરખાસ્તમાં અભિપ્રાય ન આપનાર પાલિકા ઈજનેરની કામગીરીનું રિપોર્ટ કાર્ડ તપાસી, તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા બાબતનો ઉલ્લેખ છે. પૂર્વ ધારાસભ્ય ઠુંમર, નટવરલાલ ભાટિયા સહિતના અગ્રણીઓની રજૂઆત બાદ શહેરી વિકાસ વિભાગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.