ભારત સરકાર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (૨૧ જૂન) પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે યોગ દિવસે પીએમ નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં રહેશે અને ૪૫ મિનિટમાં ૧૯ યોગ આસનો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ત્યાં હાજર રહેશે. રાજધાની દિલ્હી પણ મોટા પાયે યોગ દિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે.
યોગ દિવસની તૈયારીઓ અંગે, કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે ગુરુવારે જણાવ્યું હતું કે પીએમ મોદી ૨૧ જૂને વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ તેમની સાથે યોગ કરશે. તેમણે કહ્યું કે વિશાખાપટ્ટનમમાં લગભગ ૫ લાખ લોકો એકસાથે યોગ કરશે.
કેન્દ્રીય મંત્રી જાધવે કહ્યું કે વિશાખાપટ્ટનમમાં યોજાનાર કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ૪૦ દેશોના લોકો પણ ભાગ લેશે. આ સાથે, ૨૦ દેશોના યોગ શિક્ષકો અને તાલીમ પામેલા લોકો પણ હાજર રહેશે. આ ઉપરાંત, અન્ય ૨૦ દેશોના ભારતમાં રહેતા વિદ્યાર્થીઓ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.
આખી દુનિયા ૨૧ જૂને ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહી છે. આ વખતે આ કાર્યક્રમ ઘણી રીતે ખાસ અને ઐતિહાસિક રહેશે. આ દિવસે પીએમ મોદી વિશાખાપટ્ટનમમાં રહેશે અને ૪૫ મિનિટમાં ૧૯ યોગ આસનો કરશે. આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે જારદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પોતે આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ તેને એક મોટા જન આંદોલનમાં ફેરવવા માંગે છે. આ હેતુ માટે, રાજ્ય સરકારે ૨૧ જૂનથી આંધ્રપ્રદેશમાં એક હજાર યોગ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી લોકો યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવી શકે.
રાજધાની દિલ્હીમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાના નેતૃત્વ હેઠળ દિલ્હીના ૧૧૧ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ સત્રોનું આયોજન કરવામાં આવશે. આમાં લાલ કિલ્લો, કર્તવ્ય પથ અને લોધી ગાર્ડન મુખ્ય સ્થળો છે.
આ ઐતિહાસિક અને પ્રતીકાત્મક સ્થળોએ યોગ દિવસે એક સાથે એક લાખથી વધુ સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. આમાં એનડીએમસી (નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સીલ),ડીડીએ (દિલ્હી વિકાસ સત્તામંડળ),એએસઆઇ (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) અને એમસીડી (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દિલ્હી સરકારે આ દિવસે ૧૦ મોટા યોગ કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સ્થિત મંત્રાલયો, વિભાગો અને સંગઠનો દ્વારા ઘણા નાના-મોટા યોગ કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે.
હાલમાં, દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧,૩૦૦ થી વધુ યોગ સંગમ નોંધાયા છે, જે દર્શાવે છે કે લોકો યોગ દિવસ પ્રત્યે કેટલા ઉત્સાહિત છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યોગ હવે મર્યાદિત પ્રવૃત્તિ નથી, પરંતુ તે દરેક વર્ગ અને દરેક વયના લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે.
આ કાર્યક્રમ અંગે, કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે આ વર્ષના યોગ દિવસને ભવ્ય અને યાદગાર બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સરકાર યોગના ફાયદા દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તેને નિયમિત જીવનશૈલીનો ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.