અમદાવાદમાં ગતરોજ ૧૨ જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આવતીકાલે રાજકોટની ૬૦૦થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. આજે પીએમ મોદી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી તથા તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી.
વિજય રૂપાણી જ્યારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે જ ટેકઓફ વખતે આ ગોઝારી ઘટના બની હતી. આ દુર્ઘટના સમયે અંજલિબેન રૂપાણી તેમની દીકરીના ઘરે લંડન હતાં. આ ઘટના બાદ તેઓ લંડનથી અમદાવાદ આવ્યાં છે. આજે તેઓ પરિવાર સાથે પીએમ મોદીને મળ્યાં હતાં.
આ ઉપરાંત ભાજપના નેતાઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ભતપૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં અને અંજિલીબેન રૂપાણીને સાંત્વના આપી હતી.આ ઉપરાંત કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા,કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબહેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી.
દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકામાં રહે છે, તે ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને આવતીકાલે (૧૪ જૂને) સવારે ૪ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.સુત્રોનું માનીએ તો વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે