અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાના આતંકે લોકોના જીવ તાળવે મુક્યા છે. વાંકિયા, તરવડા અને બાબાપુર ગામોની સીમમાં દીપડાની અવરજવર એટલી વધી ગઈ છે કે હવે મજૂરો ખેતર પર કામ કરવા જતાં પણ ડરે છે. લોકો રોજિંદા જીવનમાં પણ ખતરાના ભય હેઠળ જીવી રહ્યા છે. અમરેલી તાલુકાના વાંકિયા ગામમાં એક વ્યક્તિ ઉપર સવારના સમયે ઘર પાસે દીપડાએ હુમલો કર્યો હતો. પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ઇજા વધુ હોય વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વનવિભાગને વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ આવતું નથી તેવો ગ્રામજનો વનવિભાગ સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. વનવિભાગની નિષ્ક્રિતાના કારણે લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. ચાર દિવસ જેટલો સમય વીતવા છતાં દીપડો પાંજરે ન પૂરાતા ગામલોકોમાં ભયનો માહોલ છે. અગાઉ પાંજરા મૂકી દીપડા ન પકડાયાની ઘટના બની છે. દીપડાના આતંકના કારણે મજૂર વર્ગ અહીંથી જવા લાગ્યો છે. વાડીમાં ખેડૂતોને જવું કેમ?, દીપડા સિંહ જેવા વન્યપ્રાણીનો એટલો ત્રાસ છે કે ખેડૂતોને ખેતી કરવી કેમ? ખેડૂતો અને સરપંચે પણ અનેક વખત રજૂઆતો કરી છે કે આખા શેત્રુંજીના કાંઠામાં દીપડાઓ રહે છે પરંતુ તેને પકડી કોઈ નિકાલ કરાતો નથી. હાલ વાંકિયા ગામમાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો જેના પગલે વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. હાલ ચાર દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ દીપડો પાંજરે પુરાયો નથી ત્યારે ગામલોકોની એક જ માંગ ઉઠી છે તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવામાં આવે અને તેને દૂર મૂકવામાં આવે.