લીલીયા મોટામાં જલારામ મંદિર ખાતે રઘુવીર સેના દ્વારા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ તેમજ અમરેલી લોહાણા મહાજનનાં નવનિયુકત હોદ્દેદારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોહાણા સમાજનાં શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. અમરેલી લોહાણા મહાજનના નવનિયુક્ત પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારનું લીલીયા લોહાણા મહાજનના પ્રમુખ હિતેશભાઈ કારિયા અને રઘુવીર સેનાના પ્રમુખ કિરીટભાઈ રવાણી દ્વારા મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ. મનોજભાઈ રૂપારેલનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડો. કાનાબારે જણાવેલ કે સમાજને ક્યારેય પણ જરૂર હોય ત્યારે યાદ કરજો અમરેલીની ટીમ તમારા માટે હાજર રહેશે. આ સાથે રઘુવીર સેના લીલીયા મોટા દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં હોશિયાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરીને કીટ વિતરણ કરવામાં આવેલ હતું.