વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના પીડિતો સાથે મુલાકાત કરી. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં અને તેમને ન્યાય મળશે.
ભૂતાનથી પરત ફર્યા બાદ વડા પ્રધાન મોદી સીધા હોસ્પિટલ ગયા. તેમણે ઘાયલો સાથે વાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. આ સમય દરમિયાન, હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કડક હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાનને હોસ્પિટલમાં ડોકટરો અને અન્ય સંબંધિત અધિકારીઓ દ્વારા પરિસ્થીતિ વિશે માહિતી આપવામાં આવી હતી. સોમવારે લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ નજીક ધીમી ગતિએ ચાલતા વાહનમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૨ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.
સોમવારે અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઘાયલોને મળવા અને તેમની તબિયત પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વડા પ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી અને દિલ્હી વિસ્ફોટમાં ઘાયલોને મળ્યા. દરેકને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા.”








































