વિતેલાં દસ વર્ષમાં મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ પૈકીની એક ગણાવવી હોય તો તે એ કે દેશની અંદર ત્રાસવાદી બામ્બ ધડાકા બંધ થઈ ગયા. એનઆઈએના દરોડા કેટલા પડ્‌યા અને તેમાં કેટલા પકડાયા તે સમાચારને કોઈ મીડિયા ખાસ મહત્વ આપતું નથી, પરંતુ આ કાર્યવાહીના કારણે દસ વર્ષમાં એકંદરે શાંતિ રહી. જોકે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી ત્યાં બહારના હિન્દુ શ્રમિકોને ગોળીએ વિંધવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.
ગત આૅગસ્ટથી રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડરથી માંડીને સિમેન્ટના બ્લાક વગેરે મળી આવવા અને સાબરમતી ઍક્સ્પ્રેસનો ૨૦૦૨ જેવો કાંડ ફરીથી કરવો, કાનપુર પાસે એકથી વધુ વાર આવી દુર્ઘટના સર્જવા પ્રયાસ કરવો, સુરતમાં પ્રયાસ કરવો, આ બતાવે છે કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેમાં સુરત જેવા એકાદા કેસમાં રેલવે કર્મચારી પોતાના પ્રમાશન માટે પોતે જ આવું કરે તેમાં મોદી વિરોધમાં કેટલાક મીડિયા ખુશ થઈ જાય કે આતંકી તો રેલવે કર્મચારી નીકળ્યો પરંતુ બીજા બધા કિસ્સામાં જ્યારે સમુદાય વિશેષના લોકો અપરાધી નીકળે છે ત્યારે એ સમાચાર એક કાલમના બની જાય છે અને તેમાં નામ પણ છુપાવી દેવામાં આવે છે.
બીજી તરફ, તાજેતરમાં દિલ્લીમાં સીઆરપીએફની શાળા પાસે બામ્બ ધડાકો થયો. એ તો સારું થયું કે તે દિવસે રવિવાર હતો અને તેથી રજા હતી. પરંતુ આ ધડાકો એક-બે કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને સંભળાયો હતો. આસપાસના ભવનોની બારીઓના કાચ તૂટી ગયા હતા, તેટલો ભીષણ ધડાકો હતો. સડકની બીજી તરફ લાગેલા સીસીટીવીના કેમેરા પણ હલી ગયા હતા.
ટ્રેન, જમીન પછી હવામાં ધમકી. જે રવિવારે દિલ્લીમાં સીઆરપીએફની શાળા પાસે બામ્બ ધડાકો થયો તે જ દિવસે ૨૪ વિમાનોને ધમકી મળી કે તેમાં બામ્બ છે. ૨૪માંથી ૨૪ વિમાનોને તરત જ જમીન પર ઉતારવામાં આવ્યાં. શોધ કરવામાં આવી પરંતુ મળ્યું કંઈ નહીં. આટલી બધી ધમકીઓ એક સાથે મળવી તે દેશના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ૨૨ આૅક્ટોબરના હિસાબે ગણીએ તો તે પહેલાંના ૧૧ દિવસમાં ૨૫૦ વિમાનોમાં બામ્બની ધમકી મળી. એક પણ એવી ઍરલાઇન્સ નથી જેને બામ્બની ધમકી ન મળી હોય. ઍર ઇન્ડિયા, ઇન્ડિગો, વિસ્તારા, સ્પાઇસ જેટ, અકાસા ઍર, સ્ટાર ઍર અને એલાયન્સ ઍર એટલે લગભગ બધી જ ઍરલાઇન્સ સેવાઓને આવી ધમકી મળી ચૂકી છે. આ ધમકીઓના કારણે અનેક ઉડાનોને ડાઇવર્ટ કરવી પડી, અનેકને જમીન પર ઉતારી તેમાં તપાસ કરવી પડી, અનેક ઉડાનો મોડી પડી અને કેટલીક તો નિરસ્ત કરવી પડી. પરંતુ એકેય વિમાનમાંથી બામ્બ મળ્યો નથી.
આની અસર શું થાય તે કલ્પી શકો છો?
એક વાર બામ્બની ધમકી મળે તો સુરક્ષા કર્મચારીઓ, વિમાનના કર્મચારીઓ સાવધ થઈ જાય. પરંતુ વારંવાર અને ઉપરાઉપરી આવી ધમકી મળે તો તે લોકો પણ કંટાળે. અને અત્યાર સુધી આમાં કંઈ નથી નીકળ્યું એટલે કેટલાક કર્મચારીઓ એમ માનવાના કે હવે પણ કંઈ નહીં નીકળે. અને આવી જ કોઈ તકનો લાભ દેશના શત્રુઓ લેવાની તૈયારીમાં હોય. અથવા તો એવું પણ બને કે ધમકીઓ હવામાં મળતી રહે એટલે કે વિમાનો સંદર્ભે અને ખરેખર મોટું આક્રમણ ક્યાંક બીજે જ થઈ જાય. આવી ધમકીઓથી જે કંપનીઓ ચીનથી ભારતમાં આવવા માગે છે તે અહીં સુરક્ષાની દૃષ્ટિએ ત્રાસી જાય. કારણકે કોઈ પણ દેશમાં જ્યારે આંતરિક સુરક્ષા જોખમમાં હોય ત્યારે વેપાર અને મૂડીરોકાણ આવતા નથી. આવ્યા હોય તો પણ પાછા ચાલ્યા જાય છે.
અત્યારે લોકો મોટી સંખ્યામાં પોતાની ફ્‌લાઇટની ટિકિટો રદ્દ કરાવી રહ્યા છે. સૌથી મોટી અસર ભારતની અંદરની ઍરલાઇન્સ પર પડી છે. બામ્બની ધમકી ભારતીય ઍરલાઇન્સોને જ મળી છે તેથી ઘણા લોકો વિદેશ જવા માટે પણ ભારતીય ઍરલાઇન્સના બદલે વિદેશી ઍરલાઇન્સની ટિકિટ કરાવી રહ્યા છે. આ બધું તહેવારોના ગાળામાં થઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૨૦૪૭ વર્ષ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું સપનું છે અને પાંચમા ક્રમથી ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનો શુભ આશય પણ છે. તે જોતાં ભારત વિરોધી તત્વો વેપાર અને મૂડીરોકાણ પાછાં ચાલ્યા જાય તે માટે આંતરિક સુરક્ષાને રેલવે, વિમાન અને સુરક્ષા કરતાં દળો – સીઆરપીએફની શાળા આગળ જ ધડાકો કરીને પડકારી રહ્યા છે.
વિમાનમાં અત્યાર સુધી બામ્બ હોવાની ધમકીના જે કાલ આવ્યા તેમાંના ૯૦ ટકા કાલ કે મેસેજ વિદેશથી આવ્યા છે. માત્ર દસ ટકા કાલ કે મેસેજ જ ભારતથી આવ્યા છે. આમાં હજુ વધુ સ્પષ્ટીકરણ નથી આવ્યું કે ૯૦ ટકા કાલ કે ધમકી વિદેશથી આવી છે તેમાં કયા-કયા દેશમાંથી છે. અત્યારે અમેરિકા અને કેનેડા ભારતની વિરુદ્ધ આદુ ખાઈને પાછળ પડી ગયા છે. આવા સંજોગોમાં બની શકે કે અમેરિકાના સંકેત પર આ બધું થઈ રહ્યું હોય કેમ કે અમેરિકામાં બેઠેલો શીખ ફાર જસ્ટિસ સંગઠનનો ગુરપતવંતસિંહ પન્નુએ ધમકી આપી છે કે શીખોને કાંગ્રેસીઓએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી દોડાવી-દોડાવીને મારી નાખ્યા હતા તેનાં ૪૦ વર્ષ પૂરા થવાંનાં છે. તો ઍર ઇન્ડિયાની ફ્‌લાઇટ પર આક્રમણ થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ૧થી ૧૯ નવેમ્બર સુધી ઍર ઇન્ડિયામાં પ્રવાસ ન કરવા અનુરોધ કર્યો છે.
આ પન્નુ સીઆરપીએફની શાળાઓને ‘આતંકવાદી શાળા’ પણ ગણાવે છે. તેણે સીઆરપીએફના અધિકારીઓને કહ્યું છે કે તેઓ સાવધ થઈ જાય. ૨૬ નવેમ્બરે માબાપ તેમનાં બાળકોને સીઆરપીએફની શાળામાં ન મોકલે. કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજ્જરને પન્નુ ‘શહીદ’ ગણાવે છે!
વડાપ્રધાન મોદી જ્યારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા ત્યારે જ અમેરિકાએ કહ્યું કે ભારતે અમારી સાથે પન્નુની હત્યાના ષડયંત્ર અંગે માહિતીનું આદાન-પ્રદાન તો કર્યું પરંતુ હજુ સાર્થક જવાબદેહી નક્કી નથી થઈ શકી અને એ નહીં થાય ત્યાં સુધી અમે સંતુષ્ટ નહીં થઈએ.
જેને ભારતે ત્રાસવાદી જાહેર કર્યો છે, જે અમેરિકામાં બેઠાં-બેઠાં ભારતની ફ્‌લાઇટને ઉડાવવા, સીઆરપીએફની શાળાઓને ઉડાવવા ધમકી આપે છે તે ગુરપતવંતસિંહ પન્નુ પ્રત્યેનો અમેરિકાનો પ્રેમ તો જુઓ!
એમ મનાય છે કે અમેરિકાનો આ પન્નુ પ્રેમ અને ભારત વિરોધ ડેમોક્રેટિક બાઇડેન રાષ્ટ્રપ્રમુખ પદે છે ત્યાં સુધી જ છે. નવેમ્બરની ચૂંટણીમાં એવી પૂરી સંભાવના છે કે ડાનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે પાછા ચૂંટાઈ આવશે. જો આવું થશે તો અમેરિકાની નીતિ બદલાશે. બાઇડેન ૨૦૨૦માં પ્રમુખ બન્યા ત્યારથી અમેરિકાની ભારત વિરોધી નીતિ વધી ગઈ હતી. ભારતને કોરોના રસી બનાવવા માટે કાચી સામગ્રી જોઈતી હતી તે બાઇડેન સરકારે આપવામાં શરૂઆતમાં ભારે આનાકાની કરી હતી, પછી ભારતે કોઈક રીતે હાથ કે કાન આમળ્યો ત્યારે આ કાચી સામગ્રી મળી. ત્યાર પછી ભારતમાં ખેડૂત આંદોલનના નામે તેમાં ખાલિસ્તાની અને અર્બન નક્સલ તરફી લોકો ભળ્યા અને ૨૦૨૪ આવતાં સુધીમાં પૂરો પ્રયત્ન અમેરિકાના બાઇડેન તંત્રએ કર્યો કે લોકસભા ચૂંટણીમાં મોદી સરકારનું પુનરાગમન ન થાય. ઇવન, પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતના સુરક્ષા સલાહકાર અજિત દોભાલને અમેરિકી ન્યાયાલયે સમન્સ પાઠવ્યું!
અમેરિકામાં જેમ ડેમોક્રેટની લેફ્‌ટ-લિબરલ સરકાર છે તેમ કેનેડામાં પણ જસ્ટિન ટ્રુડાની લેફ્‌ટ-લિબરલ સરકાર જ છે. જસ્ટિન ટ્રુડા પોતાની સરકાર બચાવવા અને અમેરિકાના ડેમોક્રેટના વહાલા થવા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતને ઉત્તરદાયી સંસદમાં ઠેરવી રહ્યા છે પરંતુ તેઓ આ સંદર્ભે કોઈ પુરાવો રજૂ કરી શક્યા નથી. કેનેડામાં હિન્દુ મંદિરો પર આક્રમણો વધી ગયાં છે. ખાસ તો સ્વામિનારાયણ મંદિરોને લક્ષ્યાંકિત કરી સ્વામિનારાયણ ભક્તોને ડરાવવા પ્રયાસો થઈ રહ્યા છે. આનું લક્ષ્ય દેખીતી રીતે ગુજરાત છે કારણકે સ્વામિનારાયણ ભક્તો ગુજરાતમાં વધુ છે. કેનેડાનો રેચ ગુજરાતમાં લાગી શકે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા લોકો ભાજપને અને વિશેષ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે. તેથી મોદીનો જીવ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોરૂપી પોપટમાં છે તેમ કેનેડાના ખાલિસ્તાનીઓ માનતા હશે.
ટ્રુડાએ ૨૦૨૧ના ખેડૂત આંદોલનમાં પણ ખેડૂત આંદોલન તરફી નિવેદન આપીને સ્પષ્ટ રીતે ભારતના રાજકારણમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના મોદી વિરોધીઓ આ બધી બાબતોથી ખુશ થતા હશે, પરંતુ એ સમજી લેવાની આવશ્યકતા છે કે ટ્રુડા ભારત વિરોધી છે, મોદી વિરોધી તો એ ભારતમાં મોદી સત્તામાં છે તેથી છે. ટ્રુડાના પિતા પીએર્રે ટ્રુડા વડાપ્રધાન હતા ત્યારે ૧૯૭૪માં ભારતે પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં. તે વખતે સિનિયર ટ્રુડાએ ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમને આપેલો બધો ટેકો પાછો ખેંચી લીધો હતો. ૧૯૮૧માં પંજાબમાં બે પોલીસ જવાનોની હત્યા કરીને તલવિન્દરસિંહ પરમાર નામનો એક ત્રાસવાદી કેનેડામાં છુપાઈ ગયો હતો. તે ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાનો સભ્ય હતો. તેણે વિદેશોમાં ભારતીય દૂતાવાસો પર આક્રમણો અને સાંપ્રદાયિક હત્યા માટે આહ્‌વાન પણ કર્યું હતું. ભારતે કેનેડાને વિનંતી કરી હતી કે તલવિન્દરસિંહ પરમારને ભારતને સોંપી દેવામાં આવે પરંતુ સિનિયર ટ્રુડાએ એ વિનંતી સ્પષ્ટ રીતે નકારી દીધી હતી. આમ, ટ્રુડા પિતા અને પુત્ર બંને ભારત વિરોધી છે. સિનિયર ટ્રુડા વખતે કાંગ્રેસની – ઈન્દિરા ગાંધીની સરકાર હતી, જે પણ અમેરિકા સામે બથોડા લેતાં હતાં. અને જુનિયર ટ્રુડા વખતે નરેન્દ્ર મોદીની સરકાર છે. મોદી પણ અમેરિકા સામે શિંગડા ભેરવી રહ્યા છે. આથી જસ્ટિન ટ્રુડાના ભારત વિરોધી વલણથી મોદી વિરોધીઓ ખુશ થતા હોય તો તે દેશને નુકસાન કરનારી બાબત જ છે.
પરંતુ કેનેડામાં હવે સ્થિતિ એ થઈ છે કે તેઓ ૨૦૨૫ની સામાન્ય ચૂંટણીમાં પક્ષને જિતાડી શકે તેમ નથી તેમ મનાઈ રહ્યું છે. આથી તેમના જ પક્ષના ૨૪ સાંસદોએ તેમને ૨૮ આૅક્ટોબર સુધીની અવધિ આપી છે કે ત્યાં સુધીમાં તમે પદત્યાગ કરી દો.
અમેરિકામાં પણ વાલસ્ટ્રીટ જર્નલનો ગત ૨૩ આૅક્ટોબર આસપાસ જે સર્વે આવ્યો તેમાં જે સ્વિંગ સ્ટેટ છે એટલે કે જે રાજ્યો કોઈ એક પક્ષ તરફ ઢળેલા નથી, તે રાજ્યોમાં ડાનાલ્ડ ટ્રમ્પ સરસાઈમાં ચાલી રહ્યા છે. આ ટ્રેન્ડ નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ચાલુ રહેશે તો પૂરી સંભાવના છે કે ટ્રમ્પનો જ વિજય થશે. ટ્રમ્પ પણ મોદીની જેમ જ ડીપ સ્ટેટના એટલે કે ગૂગલ, ફેસબુકની આડોડાઈના શિકાર છે. તેઓ પણ એલજીબીટીક્યૂવાળા માતાપિતાની અસંમતિ છતાં બાળકોને તેમનાં લિંગ પ્રત્યે મૂંઝવી, તેમનાં આૅપરેશન કરાવી જે સ્થિતિ કરી રહ્યા છે, તેની સામે પડેલા છે. ટ્રમ્પને સૌથી મોટો ટેકો મળ્યો છે વિશ્વના મોટા ઉદ્યોગપતિ પૈકીના એક એલન મસ્કનો.
એલજીબીટીક્યૂવાળાના આ આતંકવાદનો શિકાર તેમનો દીકરો બનેલો છે. હવે એ દીકરો જાતિ બદલાવીને દીકરી બની ગયો છે એટલે કે છોકરામાંથી છોકરી બની ગયો છે અને તેણે પિતા સામે કાર્ટે ચડીને સંબંધો કાપી નાખ્યા છે. પોતાનું નામ અને જાતિ બદલી નાખી છે. આથી જ એલન મસ્કે ટિ્‌વટર ખરીદી લીધું કારણકે ટિ્‌વટર પર તે પહેલાં લેફ્‌ટ-લિબરલોનું આધિપત્ય હતું અને તેઓ આ એલજીબીટીક્યૂના વાક વાઇરસને મંચ પૂરો પાડી રહ્યા હતા. આ ચૂંટણીમાં મસ્ક પૂરી શક્તિથી ટ્રમ્પને સાથ અને સહયોગ આપી રહ્યા છે.
ભારતમાં પણ, ગુજરાતી બુદ્ધુજીવીઓ દબાતા સૂરે ત્રીજી જાતિના નામે હવે એલજીબીટીક્યૂની તરફેણ કરવા લાગ્યા છે. નવેમ્બરમાં વિદાય લેવાના છે તે મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સર્વોચ્ચ ન્યાયાલયમાં યુનિસેક્સ ટાઇલેટ એટલે કે સ્ત્રી-પુરુષ અને ત્રીજી જાતિ બધા જ લોકો એક જ શૌચાલયમાં જાય તેવાં ટાઇલેટ બનાવ્યા છે. પોતાનું ચાલે તો ચંદ્રચૂડ એવું કરવા માગે છે કે જે ક્ષણે વ્યક્તિના મનમાં પોતાનું જે લિંગ એટલે કે સેક્સ આવે તે ગણવું. એટલે કે કોઈ ક્ષણે વ્યક્તિને લાગે કે તે પુરુષ છે તો તેને પુરુષ ગણવો અને જો એમ લાગે કે તે સ્ત્રી છે તો સ્ત્રી ગણવી! દરમિયાનમાં લદ્દાખ સીમાએ ચીને સેના પાછી ખેંચી લીધી છે તેથી બ્રિક્સ શિખરમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મંત્રણા કરીને ચીન સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરીને એક મોરચે તો શત્રુને શાંત કરવા પ્રયાસ કર્યો છે. આ બાબતે સૌથી વધુ સહયોગ રશિયાનો મળ્યો છે. રશિયાના પુતિનના સંકેતથી જ આ થયું છે. ભારતે અમેરિકાના વિરોધ અને ધાકધમકી છતાં રશિયા પાસેથી આૅઇલ ખરીદવા સહિતના સંબંધો ચાલુ રાખ્યા તેનું આ ફળ મળ્યું છે. નવેમ્બર ભારત માટે ખૂબ જ મહત્વનો મહિનો બની રહેશે તેમ લાગે છે. આપણે પ્રાર્થના એ કરવી રહી કે નવેમ્બરમાં ટ્રમ્પ જીતી જાય અને કેનેડામાં જસ્ટિન ટ્રુડાની પણ વિદાય થઈ જાય.