કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) સહિતની યોજનાઓમાં ૧૦ હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારની સિસ્ટમ ઊભી થઈ હોવાનો આરોપ મૂકીને આ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે. અમિત ચાવડાએ ભાજપના નેતાઓ અને તેમની નજીકની એજન્સીઓ પર પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો મૂકતા જણાવ્યું કે, જાંબુઘોડા પંથકમાં ચાર એજન્સીઓએ ચાર વર્ષમાં ૨૦૦ કરોડ રૂપિયાના કામ દર્શાવ્યા છે, પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી. તેમણે દાવો કર્યો કે, “બે દિવસમાં બે મજૂરે કૂવો બનાવી દીધો અને એક વ્યક્તિએ માટી-મેટલનો રસ્તો બનાવ્યો હોવાનું દર્શાવાયું છે.” ઉપરાંત, મજૂરોને ૬૦% મજૂરીના બદલે માત્ર ૨૨% રકમ ચૂકવાઈ છે, જ્યારે બાકીની ૭૮% રકમ મટીરિયલ ખર્ચ તરીકે બતાવી દેવાઈ છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “ગુજરાતમાં ભ્રષ્ટાચાર એક સિસ્ટમ બની ગઈ છે. જો આખા રાજ્યની તપાસ થાય, તો ૧૦ હજાર કરોડનું કૌભાંડ બહાર આવશે.” તેમણે ખાસ કરીને મનરેગા યોજના પર ધ્યાન દોર્યું, જેમાં અત્યાર સુધી ૮૦ હજાર કરોડની ફરિયાદો નોંધાઈ છે. તેમનો દાવો છે કે, વધુ તપાસ થાય તો આ આંકડો ૧૦૦ હજાર કરોડને પણ વટાવી શકે છે.
અમિત ચાવડાએ રાજ્યના મંત્રી બચુ ખાબડ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, “ખાબડના ગામ અને અન્ય વિસ્તારોમાં મધ્યસ્થ જમીનોનું લેવલિંગ અને વનીકરણ કરવામાં આવ્યું છે. અમારી પાસે ૧૨ સર્વે નંબરના દસ્તાવેજા છે, જેમાં બચુ ખાબડ અને તેમના પરિવારજનોના નામે જમીનો નોંધાયેલી છે.” આ માહિતી સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું.
ભરૂચ અને દાહોદમાં મનરેગા કૌભાંડના મામલે તપાસની તૈયારી ચાલી રહી હોવાના સમાચાર વચ્ચે, ચાવડાએ મંત્રી બચુ ખાબડના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી. ખાબડે કહ્યું હતું કે, “માત્ર મારા તાલુકાની જ તપાસ કેમ? આખા ગુજરાતની તપાસ થવી જોઈએ.” આ અંગે ચાવડાએ કહ્યું, “ખાબડ હજુ મંત્રી તરીકે કાર્યરત હોવાથી તપાસમાં અડચણો ઊભી થઈ શકે છે. માટે સરકારે તટસ્થ તપાસ માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવું જોઈએ અને ખાબડને મંત્રીપદેથી હટાવવા જોઈએ.”
ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, “ભાજપમાં એક ચોક્કસ ગ્રૂપ અધિકારીઓ અને પોલીસની મદદથી લૂંટ ચલાવી રહ્યું છે. જ્યારે સામાન્ય નાગરિકો અને વિરોધી નેતાઓ પર ઇન્કમ ટેક્સ અને ઈડ્ઢનો ઉપયોગ થાય છે, ત્યારે ભાજપના નેતાઓ પર આવી તપાસ કેમ નથી થતી?” તેમણે વડાપ્રધાન પાસે મનરેગા કૌભાંડની તપાસની માંગ કરી.
ચાવડાએ ભાજપના સાંસદ રામ મોકરિયા અને નેતા કે.સી. પટેલના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું, “મોકરિયાએ કહ્યું કે અધિકારીઓ લાંચ લે છે, પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે, અને ખાબડે સ્વીકાર્યું કે આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે. આ નિવેદનો જ સરકારની પોલ ખોલે છે.”
અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું કે, “મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ ગરીબોને ન્યાય આપવા માટે છે, ભાજપના કાર્યકરોના નફા માટે નહીં.” તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, ભ્રષ્ટાચાર માટે જવાબદાર એજન્સીઓ, અધિકારીઓ અને નેતાઓ સામે કડક પગલાં લેવાની તૈયારી હોય તો તેની પરીક્ષા હવે આવી ગઈ છે.