સાવરકુંડલા પંથકમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ભુવા ગામે સાસરે આવેલા જમાઈને તેની પત્નીના આડા સંબંધની ખબર પડી ગઈ હતી. જેથી પત્ની અને તેના પ્રેમીએ ફટકારી છૂટાછેડા માટે દબાણ કર્યું હતું. જેથી તેણે સુસાઈડ નોટ લખી લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જનકભાઈ શીવલાલભાઈ પડસાળા (ઉ.વ.૪૦)એ દયાબેન અનીલભાઇ પડસાળા (મરણ જનારના પત્ની), મહેશ કોળી, મનસુખભાઇ નાગજીભાઇ પાઘડાળ (મરણજનારના સસરા),અમીતભાઇ મનસુખભાઇ પાઘડાળ
(મરણજનારના સાળા) તથા બટુકભાઇ નાગજીભાઇ પાઘડાળ (મરણજનારના કાકાજી સસરા) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ભાઇ અનીલભાઇ (મરણજનાર)ના પત્ની દયાબેનને મહેશ કોળી નામના છોકરા સાથે આડા સંબંધ હતા. જેની અનીલભાઇને ખબર પડી જતા આ બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતા. ૨૫/૦૫/૨૦૨૫ ના રોજ મરણજનાર તેના સાસરીયે ભુવા ગયેલ ત્યારે પત્ની દયાબેન અને મહેશ કોળી નામના છોકરા સાથે આડા સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ એકસંપ થઈ તેના ભાઈને બાંધીને માર માર્યો હતો અને છૂટાછેડા કરવાની વાત કરી મરવા મજબૂર કર્યો હતો. જેથી લાગી આવતા ૨૭/૦૫/૨૦૨૫ ના રાત્રીના સમયે સ્યુસાઈડ નોટ લખી ભુવા ગામે લીંબડાના ઝાડ સાથે દોરી વડે ગળાફાંસો ખાઇ મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.