અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં
મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ડિએનએ સેમ્પલથી મેચ કરી વહીવટી તંત્રની મદદ લઇ તેમના પરિવારજનોને સોપવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડીયાના વતની એવા અર્જુનભાઈ પટોળિયાનો મૃતદેહ તેમના વતન વડીયા ખાતે વહીવટી તંત્ર દ્વારા લાવી તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ સમયે તેમના પરિવાર પર આવી પડેલી દુઃખની આ ઘડીમાં વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, ડેપ્યુટી કલેક્ટર નંદા, ડિવાએસપી દેસાઈ, બગસરા મામલતદાર ભીંડી, વડીયા પીએસઆઇ ગાંગળા, વડીયા મામલતદાર, ટીડીઓ અને પોલીસ સ્ટાફ સહિતનાએ પરિવારને સાંત્વના સાથે મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. વડીયાના કૃષ્ણપરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી મેઘસવારી વચ્ચે યોજાયેલી સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને
મૃતક અર્જુનભાઈને અશ્રુભરી આંખોએ અંતિમ વિદાય અપાઈ હતી. આ તકે વડીયા ગ્રામપંચાયતની અપીલથી વડીયા ગામ પણ અડધો દિવસ બંધ રહ્યું હતુ.