વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ, ચેનાબ પુલ સહિત અનેક પ્રોજેક્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પીએમ મોદીએ ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, પીએમ મોદીએ અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.

ઓપરેશન સિંદૂર પછી સરહદ પર પાકિસ્તાની હુમલાઓથી થયેલા નુકસાન માટે વડા પ્રધાને વધારાના વળતરની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જે ઘરોને વધુ નુકસાન થયું છે તેમને વધારાના ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને પહેલગામમાં માનવતા અને કાશ્મીરીયત બંને પર હુમલો કર્યો. તેનો હેતુ ભારતમાં રમખાણો કરાવવાનો, કાશ્મીરના મહેનતુ લોકોની કમાણી રોકવાનો હતો, તેથી પાકિસ્તાને પ્રવાસીઓ પર હુમલો કર્યો.

પીએમે કહ્યું કે આજે ૬ જૂન છે, સંયોગથી બરાબર એક મહિના પહેલા, આજની રાત્રે, પાકિસ્તાનના આતંકવાદીઓ બરબાદ થઈ ગયા હતા. હવે જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, ત્યારે તેને તેની શરમજનક હાર યાદ આવશે. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ પર આ રીતે હુમલો કરશે. વર્ષોની મહેનતથી બનાવેલા આતંકના મકાનો થોડીવારમાં ખંડેરમાં ફેરવાઈ ગયા. જમ્મુ અને કાશ્મીરના યુવાનોએ હવે આતંકવાદને યોગ્ય જવાબ આપવાનું મન બનાવી લીધું છે. આ એ આતંકવાદ છે જેણે ખીણમાં શાળાઓ બાળી નાખી, હોસ્પિટલોનો નાશ કર્યો, જેણે ઘણી પેઢીઓ બરબાદ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના દરેક નાગરિકની તાકાત દેશની સરહદોનું રક્ષણ કરવામાં લાગેલી છે અને જ્યારે પાકિસ્તાન તરફથી આતંક અને ગોળીબાર થાય છે, ત્યારે આખો દેશ એક થઈને ઉભો રહે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં સરહદ પારથી ગોળીબારમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબારથી પ્રભાવિત ૨૦૦૦ થી વધુ પરિવારોનું દુઃખ પણ સરકારનું દુઃખ છે. તેમણે કહ્યું કે આ પરિવારોને પહેલાથી જ મકાનોના સમારકામ માટે આર્થિક સહાય આપવામાં આવી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ સહાયમાં વધુ વધારો કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે જે ઘરોને ગંભીર નુકસાન થયું છે તેમને હવે બે લાખની વધારાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આંશિક રીતે નુકસાન પામેલા ઘરોને એક લાખની સહાય આપવામાં આવશે. આ સહાય પહેલીવાર આપવામાં આવેલી રકમ ઉપરાંત હશે.