પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાત માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ભારતીય ચૂંટણી પંચની પૂર્ણ બેન્ચ રવિવારે મોડી સાંજે નવી દિલ્હીથી કોલકાતા આવી, આગામી બે દિવસના વ્યસ્ત સમયપત્રક સાથે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ અને રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રી  વિમાનમથક પર સીઇસી જ્ઞાનેશ કુમાર અને તેમની ટીમનું સ્વાગત કર્યું.
સીઇસી કુમાર સોમવારે સવારે દક્ષિણ કોલકાતાના કાલીઘાટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાન પાસે પ્રખ્યાત કાલી મંદિરની મુલાકાત લઈને તેમની મુલાકાત શરૂ કરશે અને પછી તેમની બે દિવસીય મુલાકાતનો સત્તાવાર સમયપત્રક શરૂ કરશે. સમયપત્રક અનુસાર, કમિશનની પૂર્ણ બેન્ચ સોમવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી વિવિધ નોંધાયેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. દરેક પક્ષને ચર્ચા કરવા માટે ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે. રાજ્યમાં શાસક પક્ષ તરીકે, તૃણમૂલ કોંગ્રેસને સંપૂર્ણ સીઇસી બેન્ચ સાથે ચર્ચા દરમિયાન પ્રથમ સ્થાન મળવાની અપેક્ષા છે.
શરૂઆતમાં, જ્ઞાનેશ કુમારને મળનારી તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થવાનો હતોઃ બે લોકસભા સભ્યો, મહુઆ મોઇત્રા અને કલ્યાણ બેનર્જી, અને એક રાજ્યસભા સભ્ય, સમીરુલ ઇસ્લામ. જાકે, રવિવારે મોડી રાત્રે, શાસક પક્ષે જાહેરાત કરી કે સીઇસીને મળનારા પ્રતિનિધિમંડળમાં વધુ ત્રણ પ્રતિનિધિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
બે વધારાના સભ્યોમાં પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ અફેર્સ અને શહેરી વિકાસ મંત્રી અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમ અને નાણા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ચંદ્રિમા ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે. ત્રીજા વધારાના સભ્યમાં પશ્ચિમ બંગાળ પોલીસના તાજેતરમાં નિવૃત્ત થયેલા કાર્યકારી મહાનિર્દેશક રાજીવ કુમાર છે, જે તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય બનવાના છે. બે દિવસના કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી, પૂર્ણ કમિશન બેન્ચ ૧૦ માર્ચની સાંજે નવી દિલ્હી પરત ફરશે.