પરિવારમાં વડીલ અને ધરતી પર વૃક્ષો એ બન્નેમાં મોટી સમાનતા જણાય છે. વડીલને યાદ કરતાં ઘેઘૂર વટવૃક્ષ યાદ આવે છે. કોઈક વડીલ પાસે જવું એટલે જાણે કોઈ વૃક્ષ પાસે જવું. વૃક્ષ ફળ ફૂલ પાંદડા ડાળ વગેરે તો આપે જ, પણ સૌથી પહેલા આપે છાંયડો અને છાંયડો એટલે ‘હાશ’….પણ વૃક્ષ કેવળ ફળ-ફૂલ આપતું નથી. વૃક્ષ
‘બોધિવૃક્ષ’ પણ બની શકે છે આવું જ છે વડીલોનું. જે માણસ વડીલોની સલાહ લઈને ત્યારબાદ કોઈપણ બાબતે નિર્ણય લે છે તેને કદી પસ્તાવાનો સમય આવતો નથી.
યુવાનીમાં ગૃહસ્થાશ્રમને દીપાવ્યા પછી વડીલ થયા બાદ સાચા નાગરિક બનીને વાનપ્રસ્થાશ્રમને દીપાવવાનો છે. આ ‘વાનપ્રસ્થ’ એટલે શું ? વનમાં પ્રસ્થાન કરવું તે ? પ્રાચીન ભારતમાં અરણ્યનું એક વિશિષ્ટ સ્થાન હતું. ઋષિઓએ જે શ્લોકમાં જીવનના મૂળભૂત સનાતન સત્યોની વાતો લખી, ક્રિયાઓ લખી, તેવા જ્ઞાનગ્રંથને નામ આપ્યું
‘બૃહદારણ્યક ઉપનિષદ’. એક વખત ચર્ચા ચાલતી કે ભારતીય સંસ્કૃતિ ગ્રામીણ છે કે શહેરી ત્યારે ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે ‘‘ભારતીય સંસ્કૃતિ ન તો ગ્રામીણ છે કે ન શહેરી છે. ભારતની સંસ્કૃતિ આરણ્યક સંસ્કૃતિ છે.
સરકારમાં જે સ્થાન રાષ્ટ્રપતિનું છે પરિવારમાં તે સ્થાન વડીલનું છે. વડીલની છત્રછાયામાં બધા જ આનંદથી રહી શકે અને વિકાસ પામી શકે. જીવનની કેટલીક વાસ્તવિકતાઓ પરિવર્તનશીલ છે અને કેટલીક બાબતો અટલ છે. તેને બદલાવી કે ટાળી શકાતી નથી. આવી અપરિવર્તનશીલ હકીકતોને હસતે મોંએ આવકારી શકે તે માટેની પૂર્વ તૈયારી સમય રહેતાં વડીલોએ કરી લેવી જોઈએ માટે મોરલો ભરવો જ હોય તો યથાકાળે ભરત ભરવાનું શરૂ કરી દેવું જોઈએ અંધારે મોરલો ભરવા બેસીએ તો પછી ગૂંચવણ ભર્યા દોરાનો ઢગલો થઈને સામે અથડાય.
વડીલોએ વૃધ્ધત્વનો ભાર રાખ્યા સિવાય પોતાની પુત્રીના સંતાનો કે પુત્રના સંતાનો સાથે મન ભરીને હસી-રમી લેવું જોઈએ.
સાવ અમસ્તું નાહક નાહક, નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી, આવળ-બાવળ રમીએ, બાળ સહજ હોડી જેવું કાંઈ, કાગળ, કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
વડીલોએ જીવનને આવી સરસ મજાની રમતો રમીને ખુશખુશાલ રાખવું જોઈએ.
વડીલની ભૂમિકા કુટુંબમાં સૌથી વધુ અઘરી છે, તેથી વડીલોએ સાવચેત રહીને આચારસંહિતા અપનાવવી પડશે.
(૧) વડીલોએ આદર્શોનો, વિચારોનો કે આચારોનો આગ્રહ કોઈના પર લેશમાત્ર પણ લાદવો ના જોઈએ.
(ર) વડીલોએ જીવનના બધાં જ સ્વપ્નો અને આદર્શો જે પોતે સિધ્ધ ન કરી શક્યા હોય તે પોતાના બાળકો પર દબાણ લાવીને સિધ્ધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
(૩) વડીલો પાસે અનુભવનો ભંડાર જરૂર હોય છે પણ તેથી કરીને એ ભંડારના રત્નો કાંઈ જ્યાં ત્યાં વેરવિખેર ઉડાડી ના દેવાય. કોઈપણ સંબંધમાં વણમાગી સલાહ કે ઉપદેશ ના આપવો જોઈએ.
(૪) વડીલની પાસે આવીને કોઈ વ્યક્તિ જો પોતાની મેળે પોતાનું હૃદય ખોલે તો તે ભલે ખોલવા દેવું પણ એની ઈચ્છા ન હોય તો કોઈને પૂછી પૂછીને અંગત બાબતો જાણવા દબાણ કરવું તે બરાબર નથી.
(પ) બીજાઓ સાથેના સંબંધોમાં બને તેટલી અપેક્ષાઓ ઓછી કરતાં જવું, મોટા ભાગના મનદુઃખનું મૂળ છે અપેક્ષા. અપેક્ષા ન સંતોષાય તો દુઃખ થાય. તેના કરતાં એ જ હૃદયને વડીલો જો નિરપેક્ષ પ્રેમથી ભરી દે તો ઘણું ઘણું પામ્યાનો અનુભવ પ્રાપ્ત કરશે.
(૬) વડીલોએ કોઈનો ન્યાય તોળવા ન બેસવું, ભગવાન ઈશુ ખ્રિસ્તે કહ્યું છે તેમ “Let us not Judge each other, but love.”વડીલોએ અન્યોનો ન્યાય નહીં પણ સૌને વિશુધ્ધ સ્નેહ કરવો જોઈએ, ન્યાય કરનારા ભગવાન ઉપર બેઠા છે. એના કામમાં દખલગીરી કરવાની જરૂર નથી.
(૭) વડીલોએ કોઈનીય નિંદા ન કરવી જોઈએ. નરસિંહ મહેતાએ ગાયું છે ને કે ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે નિંદા ન કરે કેની રે !
(૮) વડીલોએ પોતાના સ્વજનો, સાથીઓને કંટાળો આવે તેવું કશું ન કરવું જોઈએ.
(૯) પોતે કરી શકે તેવા કામનો બોજ કોઈના ઉપર ના નાખવો. પોતાની પત્ની પર પણ નહિ. હું વડીલ છું માટે મારી સઘળી સેવા કોઈએ કરવી જોઈએ આવી વૃત્તિને બહુ પાળવી પોષવી નહિ. પોતાની પથારી પાથરવી તથા ઉપાડવી, તરસ લાગે ત્યારે પાણીયારે જઈ પાણી પી લેવું. નહાવા માટે બેસતાં પહેલાં પોતાના કપડા, ટુવાલ, ડોલ વગેરે જાતે જ લઈ લેવાં, જમતી વખતે પાણી ભરીને બેસવું. જમીને પછી થાળી વાસણો સાફ કરવામાં આવતાં હોય તે સ્થળે મૂકી આવવી. કપડાની ગડી વાળવી, ટેબલ ઝાપટવાં – આવા હળવા કામ કર્યે રાખવાની ટેવ પાડવી આ ઉપરાંત બાળકોને ભણાવવા, વાર્તાઓ કહેવી, ગીતો શીખવવાં, શ્લોકો યાદ કરાવવાં આવા નાના નાના કાર્યો જીવનને ગતિશીલ રાખવામાં મદદ કરશે. શક્તિ હોય તો દેવ દર્શને જતાં આવતાં બજારમાંથી શાકભાજી ખરીદી લવાય તો તે રીતે કુટુંબને ઉપયોગી થઈ શકાય.
પ્રત્યેક શ્વાસો-શ્વાસ રામ-હરિના ધબકાર ઝીલે તેવી કોશિશ કરવી, પારિજાતના ફૂલની સુગંધની જેમ આસપાસનું વાતાવરણ મહેંકી ઉઠે તેમ વડીલના વ્યક્તિત્વની સુગંધથી પરિવારનું કુટુંબ જીવન મહેંકી ઉઠે તે નિશ્ચિત વાત છે.
થોડાંક વર્ષો પહેલાં મેં એક વિદેશી બહેનને પૂછેલું, તમને અમારા ભારતીય જીવનમાં શું ગમ્યું ? ત્યારે ભીની આંખોએ એ બહેને મને કહેલું કે ‘‘જો પ્રભુ મને પૂછશે કે તારે તારો આવતો જન્મ કયાં લેવો છે તો હું કહીશ કે ભારતમાં, કારણ કે આ તમારા ભારતમાં કુટુંબ નામની ચીજ છે એને લીધે બાળકને પ્રેમ અને હુંફ સતત સાંપડતા રહે છે.
પરિવારના સભ્યોને જ્યારે સલાહની જરૂર પડશે ત્યારે હોંશે હોંશે વિના સંકોચ વડીલ પાસે દોડી આવશે. વડીલોનું ઘરમાં હોવા પણું જ એમને માટે એક સુખદ ઘટના બની જશે. જેવી રીતે ‘રેલગાડીમાં સંકટ સમયની સાંકળનું હોવાપણું’ મુસાફરોને ભારે મોટી રાહત આપે છે તેવી રીતે કુટુંબમાં દાદા-દાદી રૂપી વડીલને સૌ કોઈ ઝંખશે.
યાદ રાખીએ કે સમય તો નિરંતર ચાલે છે, વહેતી નદીના પાણી પ્રત્યેક પળે બદલાય છે તેમ માણસ પણ બદલાય છે. ગઈકાલનો મનુષ્ય આજે નથી એટલું યાદ રાખી સ્નેહ સાધી લેવો, કટુતા છોડી દેવી અને હમેશાં સામી વ્યક્તિના ગુણ યાદ કરવા દોષ નહિ, ગુણોનું ગાન આ છે સહજીવનની આચારસંહિતા ! મન બુધ્ધિ ચિત્તમાં આ વાત દીવા જેવી સાફ થઈ જવી જોઈએ. વડીલોના વાત્સલ્યનો ધોધ સંતાનોના દોષોને પી જશે. દોષોને પી જવાનું સરળ નથી. હળાહળ ઝેર પી જનાર નિલકંઠ બનવું પડે પણ આજ છે પારિવારિક સાધના.
એટલે જ વિનોબાજીએ કહ્યું છે કે,
‘વાત્સલ્ય દોષને પી જાય છે
સખ્યભાવ દોષને સહન કરે છે
પ્રેમને તો દોષ દેખાતો જ નથી.’
સંદર્ભ:જીવન સંધ્યાનું સ્વાગત-લેખિકા: શ્રી મીરા ભટ્ટ