લોકપ્રિય વેબ શ્રેણી ‘પંચાયત’માં ‘દમાદ જી’ ની ભૂમિકા માટે પ્રખ્યાત ૩૪ વર્ષીય અભિનેતા આસિફ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આસિફ ખાનને તાજેતરમાં હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારે તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.અભિનેતાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા અને એક તસવીર પણ શેર કરી, જે હોસ્પિટલની લાગે છે. આ પોસ્ટમાં, તેમણે તેમના ચાહકોને એક મહત્વપૂર્ણ સલાહ પણ આપી.
આસિફ ખાને હાર્ટ એટેક પછીની પહેલી પોસ્ટ શેર કરી, જે દર્શાવે છે કે તેમને ૧૫ જુલાઈના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘છેલ્લા ૩૬ કલાકમાં આ બધું જાયા પછી, મને સમજાયું કે જીવન ખૂબ ટૂંકું છે, તેને એક દિવસ માટે પણ હળવાશથી ન લો. ફક્ત એક ક્ષણમાં બધું બદલાઈ શકે છે, તમારી પાસે જે છે અને તમે જે છો તેના માટે આભારી બનો. યાદ રાખો કે તમારા માટે કોણ સૌથી મહત્વપૂર્ણ છે અને તેમને ખુશ રાખો. જીવન એક ભેટ છે અને અમે તે મેળવવા માટે આભારી છીએ.’
આસિફ ખાને તાજેતરમાં બીજી એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી. પોસ્ટમાં, પંચાયત ફેમ અભિનેતાએ લખ્યું- ‘છેલ્લા કેટલાક કલાકોથી, હું કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છું, જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. મને જણાવતા આનંદ થાય છે કે હું હવે સ્વસ્થ થવાના માર્ગે છું અને પહેલા કરતાં ઘણો સારો અનુભવ કરી રહ્યો છું. તમારા પ્રેમ, ચિંતા અને શુભેચ્છાઓ માટે હું ખરેખર આભારી છું. તમારો ટેકો મારા માટે ઘણો અર્થ ધરાવે છે. હું ખૂબ જ જલ્દી પાછો આવીશ. ત્યાં સુધી, મને તમારા વિચારોમાં રાખવા બદલ આભાર.’
આસિફ ખાનની છેલ્લી થિયેટર રિલીઝ સિદ્ધાંત સચદેવની હોરર કોમેડી ફિલ્મ ‘ધ ભૂતની’ હતી, જેમાં તેણે નાસિરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત, મૌની રોય, સની સિંહ અને પલક તિવારી મુખ્ય ભૂમિકામાં હતા. આસિફે તેની અભિનય કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘પાતાલ લોક’, ‘જમતારાઃ સબકા નંબર આયેગા’, ‘પગલૈત’ અને અન્યનો સમાવેશ થાય છે. તેની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, પરેશ રાવલ, નવાઝુદ્દીન સિદ્દીકી, સંજય દત્ત અને અન્ય લોકો સાથે ‘થમ્મા’માં જાવા મળશે.