રાજ્યમાં આયુર્વેદના ઓઠા હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકારે લાલઘૂમ તેવર અપનાવ્યા છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરોની રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી છે કે, આગામી બજેટ સત્રમાં નકલી ડોક્ટરોને ડામવા માટે સરકાર નવો કડક કાયદો અથવા પ્રવર્તમાન કાયદામાં મોટા સુધારા લાવશે.
કામરેજ સ્થિતિ આશ્રમમાં કોઈ પણ માન્ય પ્રોફેશનલ ડિગ્રી વગર આયુર્વેદના નામે પ્રેક્ટિસ કરતા પ્રદીપ જાટંગીયા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોએ ગંભીર આક્ષેપો સાથે મંત્રીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદીપ જાટંગીયા અગાઉ નકલી નોટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચુક્યા છે અને હાલ જેલમાં છે. તેમની સારવાર પદ્ધતિમાં શરીરમાં સોય ભોંકવી અને દોરા-ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી લોકોના જીવ જાખમમાં મૂકવામાં આવતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.
આરોગ્ય મંત્રીએ આ મામલે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કેઃ
નવો કાયદોઃ બજેટ સત્રમાં નકલી તબીબો સામે કડક શિક્ષાત્મક જાગવાઈઓ વાળો કાયદો લવાશે.
તપાસ અભિયાનઃ હાલ ચૂંટણી આચારસંહિતા હોવાથી વહીવટી મર્યાદા છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થતા જ રાજ્યભરમાં આવા તત્વો વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ શરૂ કરાશે.
ફરજિયાત રજીસ્ટ્રેશનઃ દરેક આયુર્વેદિક પ્રેક્ટીશનર માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે “લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને છોડવામાં નહીં આવે. તમે ફરિયાદ કરો, સરકાર ચોક્કસ પગલાં લેશે. જનતાને પણ વિનંતી છે કે સર્પદંશ જેવી ગંભીર સ્થિતિમાં અંધશ્રદ્ધામાં પડ્યા વગર તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું.