ધોરાજી ભાદર કોલોનીના વર્ષ ૧૯૯૬ના ચકચારી જલદીપ હત્યા કેસમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના ૨૯ વર્ષ પહેલા બની હતી.
બનાવની વિગત એવી છે કે, ૫ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ અનિતા ઉર્ફે અરુણાએ પાડોશીના બાળક જલદીપ ગિરધરભાઈ કોઠીયાને પોતાના ઘરમાં બોલાવી ગળાચીપ દઈને મારી નાખ્યો હતો, અને ત્યારબાદ દસ્તા વડે માથું છુંદીને શબને સૂટકેસમાં ભરી દીધું હતું. પતિ ઘરે આવતા લોહીની વાસ આવતા પૂછપરછ કરતા તેણે હત્યા કબૂલી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાચીપ અને માથામાં
હેમરેજિક ઈજાથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. પોલીસે અનિતાની ધરપકડ કરી તેના કપડાં, પાટલા અને નખના નમૂના લીધા હતા, જેમાંથી તેમજ ઘરના રાચરચીલામાંથી FSL તપાસમાં જલદીપનું લોહી મળી આવ્યું હતું.
કોર્ટમાં આરોપી તરફથી માનસિક બીમારીનો દાવો કરાયો હતો, પરંતુ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે સાંયોગિક પુરાવા, આરોપીનું એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન અને FSL રિપોર્ટને ધ્યાનમાં રાખીને દલીલો કરી હતી કે આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે અનિતા ઉર્ફે અરુણાને આજીવન કેદની સજા ફટકારી છે.