દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ મહિનાના નવજાત શિશુ અને ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત થયું છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે બે મૃત્યુ થયા છે અને કોરોનાના ૧૦૫ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સક્રિય દર્દીઓની સંખ્યા ૫૬૨ થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે સાત લોકો મૃત્યુ પામ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૮૭ વર્ષીય વૃદ્ધને કિડની, હૃદય સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓ હતી.
દેશમાં કોરોના ચેપના કેસોમાં ઉછાળા પછી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓકસીજન, વેન્ટીલેટર, આઇસોલેશન બેડ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ જારી કર્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૫ જૂને હોસ્પિટલ સ્તરે મોક ડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, રાજ્યોને દેખરેખ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોરોના ચેપના કેસોમાં થયેલા વધારાને કારણે, ૨ અને ૩ જૂનના રોજ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, ચેપગ્રસ્ત તમામ જિલ્લાઓની ચર્ચા કરતી વખતે, અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં કુલ સક્રિય કેસ ૪,૩૦૨ છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૪ નવા કેસ નોંધાયા છે. મોટાભાગના ચેપ હળવા છે અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૪૪ મૃત્યુ થયા છે, જેમાંથી મોટાભાગના પહેલાથી જ અન્ય રોગોથી પીડાતા હતા.
૨ જૂનના રોજ તમામ રાજ્યોમાં ઓકસીજન સપ્લાય સિસ્ટમ પર હાથ ધરવામાં આવેલી મોક ડ્રીલ પણ સફળ રહી છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે રાજ્યોને તૈયારીઓનું પરીક્ષણ કરવા અને દેખરેખ વધારવા પર ભાર મૂકવા માટે મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ભારતના આરોગ્ય મહાનિર્દેશક ડા. સુનિતા શર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, રાજ્યોના આરોગ્ય સચિવોએ વર્તમાન તૈયારીઓ વિશે માહિતી આપી હતી.