બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકાની ગ્રામ પંચાયતોમાં કામ કરાવવા આવતા ગ્રામજનો માટે મોટા રાહતના સમાચાર છે. તલાટી કમ મંત્રીઓની ગેરહાજરી અને અનિયમિતતા અંગે મળતી સતત ફરિયાદોને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ‘લાલ આંખ’ કરી છે. હવેથી તલાટીઓએ પંચાયત કચેરીમાં હાજર રહીને સવાર-સાંજ ‘સેલ્ફી’ દ્વારા પોતાની હાજરી પૂરવી પડશે.
નવા અમલી બનેલા કડક નિયમ મુજબ, તલાટીઓએ હવે માત્ર સામાન્ય ફોટો નથી પાડવાનો, પરંતુ આ સમગ્ર સિસ્ટમ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તલાટીનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે તલાટી પંચાયત કચેરીના નિર્ધારિત દાયરામાં હાજર હશે તો જ તેમની હાજરી માન્ય ગણાશે. તલાટીઓએ હવે દિવસમાં બે વાર, એટલે કે સવારે કચેરીએ પહોંચતી વખતે અને સાંજે કચેરી છોડતી વખતે પોતાની સેલ્ફી અપલોડ કરવી પડશે. આ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સેલ્ફી સીધી ઉચ્ચ અધિકારીઓના સર્વર પર મોકલવામાં આવશે, જેથી હાજરીમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિની શકયતા રહેશે નહીં.
નિયમમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. જા કોઈ તલાટી દિવસમાં માત્ર એક જ વાર સેલ્ફી અપલોડ કરશે, તો તેમનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. એટલું જ નહીં, હવેથી તલાટીઓનો માસિક પગાર પણ આ એપ્લિકેશનમાં નોંધાયેલી હાજરીના આધારે જ રિલીઝ કરવામાં આવશે.
લાંબા સમયથી ગ્રામજનોની ફરિયાદ હતી કે તલાટીઓ સમયસર કચેરીએ આવતા નથી, જેના કારણે ખેડૂતો અને અરજદારોના દાખલા તથા સરકારી યોજનાઓના કામો અટકી પડતા હતા.ડીડીઓના આ ઐતિહાસિક નિર્ણયથી વહીવટી તંત્રમાં શિસ્ત આવશે. વારંવાર ગેરહાજર રહેતા તલાટીઓ સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ તંત્રએ ચીમકી આપી છે.
આ નિર્ણયથી થરાદ અને વાવના અંતરિયાળ ગામડાઓમાં સરકારી વહીવટ વધુ પારદર્શક બનશે અને ગરીબ અરજદારોને પડતી હાલાકીનો અંત આવશે તેવી આશા સેવાઈ રહી છે.









































