ગુજરાતભરમાં ૨૨ મેથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલા પ્રિ-ઈવેન્ટ યોજીને પ્લાસ્ટિક પ્રદૂષણ તેમજ પ્લાસ્ટિક ન વાપરવા અંગે લોકોને
જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સફાઈ ઝુંબેશ, પ્લાસ્ટિક એકત્રિકરણ ઝુંબેશ, વાકેથોન, નૂક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, ઉના સહિતના વિવિધ વિસ્તારોમાં નૂક્કડ નાટકોના માધ્યમથી પ્લાસ્ટિક નાબૂદી અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.