કન્નડ ભાષા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસનને કર્ણાટક હાઇકોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કમલ હાસન વિશે કહ્યું છે કે ‘તમે કમલ હાસન હોઈ શકો છો પરંતુ તમને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.’
કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો હોબાળો મચી ગયો છે. હકીકતમાં, અભિનેતા દ્વારા તાજેતરમાં કરાયેલા એક વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે. હવે આ મુદ્દે, કર્ણાટક હાઈકોર્ટે તેમની આકરી ટીકા કરી છે અને તેમની ભૂમિકા પર પ્રશ્નો ઉભા કર્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના પ્રમોશન દરમિયાન કમલ હાસને કહ્યું હતું કે ‘કન્નડ ભાષાનો જન્મ તમિલ ભાષામાંથી થયો છે’.
સુનાવણી દરમિયાન, જસ્ટીસ એમ નાગપ્રસન્નાએ કમલ હાસનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ‘કોઈપણ નાગરિકને જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.’ તેમણે વધુમાં કહ્યું કે ‘પાણી, જમીન અને ભાષા, ત્રણેય દરેક નાગરિકની ઓળખ સાથે સંબંધિત છે. દેશનું વિભાજન પણ ભાષાના આધારે થયું હતું. કોર્ટે હસનના નિવેદનને અસંવેદનશીલ અને વિભાજનકારી ગણાવ્યું.
ન્યાયાધીશે કડક સ્વરમાં પૂછ્યું, ‘શું તમારી પાસે આ દાવાનો કોઈ ઐતિહાસિક પુરાવો છે? તમે આવું નિવેદન આપીને કર્ણાટકના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તમે કયા આધારે આ કહ્યું? શું તમે ઇતિહાસકાર છો? કે ભાષાશાસ્ત્રી?’ કોર્ટે કહ્યું કે જો માફી માંગવામાં આવી હોત તો મામલો ત્યાં જ ઉકેલાઈ ગયો હોત.
કમલ હાસને કર્ણાટકમાં તેમની ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ અને સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે હાસનનું નિવેદન ઇરાદાપૂર્વકનું નહોતું અને તેમનો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. પરંતુ કોર્ટે તેમની દલીલને ફગાવી દીધી અને કહ્યું, ‘જો તમે માફી નહીં માગો, તો ફિલ્મ કર્ણાટકમાં કેમ રિલીઝ થવી જોઈએ? શું તમે ફક્ત પૈસા કમાવવા આવ્યા છો? અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડો છો.’
કમલ હાસનના નિવેદન પર કર્ણાટકમાં વિરોધ તીવ્ર બન્યો છે. કન્નડ તરફી સંગઠનો અને રાજકીય નેતાઓએ તેને કન્નડ ભાષા અને ઓળખ પર હુમલો ગણાવ્યો છે. ઘણા લોકોએ માંગ કરી છે કે જ્યાં સુધી કમલ હાસન જાહેરમાં માફી ન માંગે ત્યાં સુધી આગળ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. ત્યાં સુધી, તેમની ફિલ્મ રાજ્યમાં પ્રદર્શિત ન થવી જોઈએ.
જોકે કોર્ટે આ અરજી પર હજુ સુધી અંતિમ ચુકાદો આપ્યો નથી, કમલ હાસનને એવું વિચારવાનું સૂચન કરવામાં આવ્યું છે કે માફી માંગવી એ વધુ સારો રસ્તો હોઈ શકે છે.