હાલારની ધરતી પર આવેલ ખ્યાતનામ અને વિશ્વ વિખ્યાત પવિત્ર યાત્રાધામ એટલે દ્વારકા. દ્વારકાના જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. પૂનમના દિવસે એટલે કે આવતીકાલે ૧૧મી જૂનના રોજ જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે અને સવારે ૮ વાગ્યા સુધી મંગલા દર્શન થશે.
ભક્તોમાં જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે મંગલા આરતી સવારે ૬ વાગ્યે યોજાશે. ત્યારબાદ ૬ થી ૮ વાગ્યા સુધી મંગલાદર્શન અને સવારે ૮ઃ૦૦ વાગ્યાથી લઈને ૯ઃ૦૦ વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે.
જ્યારે ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે. જ્યારે બપોરે ૧ થી ૫ઃ૦૦ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે અને ત્યારબાદ સાંજે ૫ઃ૦૦ વાગ્યાના સમયે ઉઠ્ઠાપન દર્શન કરવામાં આવશે. સાથે જ સાંજે ૫ઃ૦૦ વાગ્યાથી ૯ઃ૩૦ વાગ્યા સુધી જળયાત્રા ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ રાત્રે ૯ વાગ્યે મંદિર બંધ થઈ જશે. જેનો લાભ લેવા દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, વર્ષમાં માત્ર બે વખત જ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાવાય છે. જે પૈકી એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહ¥વ છે. યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખો ભક્તો ભગવાનને શીશ નમાવતા હોય છે. તાજેતરમાં જ એટલે કે ઉનાળુ વેકેશનના છેલ્લા અઠવાડિયામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
દ્વારકા, શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા ખાતે ચિક્કાર ભીડ જાવા મળી હતી. યાત્રાધામ અને દરિયાઈ કુદરતી સૌંદર્યની મજા માણવા દૂર દૂરથી લોકો પધાર્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ૭ લાખ ભાવિકોએ દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં. બીજી તરફ ભક્તોની ભીડને લઈને વેપારીઓ પણ ખુશીમાં ઝૂમી ઉઠે છે કારણ કે ભક્તોના પ્રવાહને લઈ વેપારમાં બૂસ્ટ લાગે છે.