જાફરાબાદમાં રહેતી એક મહિલા વકીલે રાજકોટના યુવક સાથે લગ્ન સમયે વકીલાત કરવાની શરતે લગ્ન કર્યા હતા. જોકે તેમ છતાં ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા વકીલે પીયર પરત ફરીને દહેજ ભૂખ્યા સાસરિયા સામે ફરિયાદ નોધાવી હતી. માયાબેન ભરતભાઈ રાજ્યગુરુ (ઉ.વ.૨૯)એ રાજકોટમાં રહેતા પતિ હાર્દિકભાઈ જયસુખભાઈ વ્યાસ, જયસુખભાઈ લીલાતરભાઈ વ્યાસ, જાગૃતિબેન જયસુખભાઈ વ્યાસ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપી સાથે વકીલાત કરવાની શરતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આરોપીઓ વકીલાત ન કરવા દેવા બાબતે બોલાચાલી કરતા હતા. પતિએ તેના વાળ પકડીને ઢસડી હતી તથા અશ્લીલ ગાળો આપેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સસરાએ હાથ પકડીને ઘરની બહાર નીકળવાનું કહી ધક્કો માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ત્રણેય આરોપીઓએ પાટુ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓ અગાઉ અવારનવાર તેની સાથે માથાકૂટ કરી માનસિક શારીરિક દુઃખ ત્રાસ આપી મારી નાખવાની ધમકીઓ આપી મેણા-ટોણા મારતા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશના એએસઆઈ એ.પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.