બોમ્બે લોયર્સ એસોસિએશન (બીએલએ) એ જસ્ટીસ યશવંત વર્માના ઘરેથી મળી આવેલી રોકડ રકમના કેસમાં સીજેઆઇ બીઆર ગવઈને પત્ર લખ્યો. આ પત્રમાં, જસ્ટીસ વર્મા સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. પત્રમાં, કહ્યું છે કે ઇન-હાઉસ પેનલના અહેવાલ દ્વારા જસ્ટીસ વર્મા સામેના આરોપોની પુષ્ટિ કરવામાં આવી છે. કાયદાનું શાસન જાળવવા, જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી જરૂરી છે. ૧૯૯૧નો વીરસ્વામીનો ચુકાદો કાર્યવાહી માટે સ્પષ્ટ પદ્ધતિ પ્રદાન કરે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને સંતુલિત કરે છે અને ભ્રષ્ટાચારના વિશ્વસનીય આરોપોને સંબોધે છે.
જસ્ટીસ વર્મા હાલમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ છે. ૨ જૂન, ૨૦૨૫ ના રોજ લખેલા પત્રમાં,બીએલએએ ભારતના મુખ્ય ન્યાયાધીશને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (પીસી એક્ટ) અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ હ્લૈંઇ નોંધવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પત્ર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ અહેમદ આબ્દી અને તેના સચિવ એડવોકેટ એકનાથ આર ધોકલે વતી લખવામાં આવ્યો છે.
પત્રમાં કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંત અને સંસ્થાકીય જવાબદારીની જરૂરિયાત જણાવવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા શેર કરાયેલા ફોટોગ્રાફ્સ અને વિડિયો ફૂટેજ સહિતના વિશ્વસનીય પુરાવા, એક કોગનીઝેબલ ગુનાની ઘટના સૂચવે છે. રેકોર્ડ પરની સામગ્રીની ગંભીરતા હોવા છતાં, હજુ સુધી કોઈ એફઆઇઆર નોંધવામાં આવી નથી, અને કોઈ સત્તાવાર જપ્તી કે પંચનામા રિપોર્ટ કરવામાં આવ્યો નથી.
બીએલએ એ કે. વીરસ્વામી વિરુદ્ધ ભારત સંઘ (૧૯૯૧) માં બંધારણીય બેન્ચ દ્વારા સ્થાપિત બંધનકર્તા ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ન્યાયાધીશ પણ પીસી એક્ટ હેઠળ ‘જાહેર સેવક’ છે અને જ્યાં સુધી સીજેઆઇ પાસેથી મંજૂરી ન મળે ત્યાં સુધી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી.
નોંધનીય છે કે, ન્યાયાધીશ વર્મા સામે તાત્કાલિક એફઆઇઆર નોંધવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ૨૧ મેના રોજ ફગાવી દીધી હતી. જો કે, અરજદારોને જરૂર પડ્યે સક્ષમ અધિકારીઓનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.