કેશ કૌભાંડમાં ફસાયેલા જસ્ટીસ યશવંત વર્મા પર મહાભિયોગની તલવાર લટકી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકે છે. આ પહેલા, જસ્ટીસ યશવંત વર્માએ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના ઇન-હાઉસ તપાસ પેનલના રિપોર્ટને પડકાર્યો છે, જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમણે અરજીમાં સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઈ સંજીવ ખન્નાના મહાભિયોગની ભલામણને પણ પડકારી છે.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો જસ્ટીસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મળી આવેલી મોટી રકમની રોકડ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, ૧૪-૧૫ માર્ચની રાત્રે દિલ્હી હાઇકોર્ટના તત્કાલીન જસ્ટીસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાં આગ લાગી હતી. આગ બુઝાવવા પહોંચેલી ટીમને તે ઘરના સ્ટોર રૂમમાંથી ૫૦૦ રૂપિયાના બળેલા બંડલ મળ્યા. આ મામલે ઘણો હોબાળો થયો હતો. આ પછી, સુપ્રીમ કોર્ટે ત્રણ ન્યાયાધીશોની ઇન-હાઉસ તપાસ સમિતિની રચના કરી.
૫૫ સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સીક રિપોર્ટ અને ફાયર બ્રિગેડ સ્ટાફના નિવેદનોના આધારે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ત્રણ ન્યાયાધીશોની પેનલે જસ્ટીસ વર્મા અને તેમના પરિવારને “પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે” રોકડ રાખવા માટે જવાબદાર ઠેરવ્યા. પેનલે કહ્યું કે આગ લાગ્યા પછી, રાતોરાત રોકડ કાઢી નાખવામાં આવી હતી અને પુરાવાઓનો ઇરાદાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઇ સંજીવ ખન્નાએ ૮ મેના રોજ જસ્ટીસ વર્મા સામેની તપાસનો અહેવાલ મહાભિયોગની ભલામણ સાથે ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલ્યો હતો. જો કે, જસ્ટીસ યશવંત વર્માએ હવે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે, તેને કાવતરું ગણાવ્યું છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.