ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં દલિત અને આદિવાસી સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ‘વિકાસ’ના પોકળ દાવાઓ વચ્ચે રાજ્યનો દલિત અને આદિવાસી સમાજ આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે, ભાજપ સરકારની માનસિકતા દલિત-આદિવાસી વિરોધી છે. ગુજરાતમાં એસસી-એસટી પર વધી રહેલી અત્યાચારની ઘટનાઓ રાજ્ય માટે કલંક સમાન છે. ભાજપ સરકાર માત્ર મતોની રાજનીતિ જાણે છે, પરંતુ બંધારણીય હક્કો અને સુરક્ષા આપવામાં સદંતર નાકામ રહી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ બની છે. જે દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ ૩થી વધુ દલિતો અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ આંકડાઓ માત્ર નોંધાયેલા ગુનાઓના છે, જ્યારે ડર અને દબાણને કારણે હજારો કિસ્સાઓ તો પોલીસ ચોપડે ચડતા જ નથી. આદિવાસી સમાજ પરના હુમલા અંગે પણ ભાજપ સરકારની ઉદાસીન વલણ દાખવી રહી છે. ભાજપ શાસનમાં ગુજરાતના આદિવાસી સમાજ પર પણ અત્યાચારોનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં આદિવાસી સમાજ પર પણ અત્યાચારનાં કુલ ૧૫૯૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અનુસુચિત જનજાતિ સમાજ પર અત્યાચારનાં કુલ ૩૫૫૩ કેસનાં ટ્રાયલ બાકી છે. ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે એક આદિવાસી ભાઈ-બહેન પર અત્યાચાર કે હુમલાની ઘટના બને છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે ગુનેગારોને સજા અપાવવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં એસટી અત્યાચારના કેસોમાં સજાનો દર ૧ ટકા કરતા પણ ઓછો છે.
કોંગ્રેસે આ અંગે આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં અનુસુચિત જાતિ પર અત્યાચારનાં નવા નોધાયેલામાં વર્ષ ૨૦૧૯માં ૧૧૪૧૬, વર્ષ ૨૦૨૦માં ૧૩૨૬, વર્ષ ૨૦૨૧માં ૧૨૦૧, વર્ષ ૨૦૨૨માં ૧૨૭૯, વર્ષ ૨૦૨૩માં ૧૩૭૩ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૬૫૯૬ કેસે નવા નોંધાયા છે. ગુજરાતમાં અનુસુચિત જનજાતી પર અત્યાચારનાં નવા નોધાયેલામાં વર્ષ ૨૦૧૯માં ૩૨૧, વર્ષ ૨૦૨૦માં ૨૯૧, વર્ષ ૨૦૨૧માં ૩૪૧, વર્ષ ૨૦૨૨માં ૩૩૦, વર્ષ ૨૦૨૩માં ૩૦૭ થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૫૯૦ કેસે નવા નોંધાયા છે. ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જુનાગઢ જેવા જીલ્લાઓમાં પણ અનુસુચિત જાતિ પર થયેલ અત્યાચાર વધી રહ્યા છે. સમગ્ર દેશમાં જીઝ્ર-જી્ અધિકારો માટે ૧૫૦૦૦થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો થયા, ત્યારે ગુજરાતની ‘સંવેદનશીલ’ ગણાતી સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં માત્ર ૬-૬ કાર્યક્રમો કર્યા અને ૨૦૨૦માં તો એક પણ કાર્યક્રમ કરવાની તસ્દી લીધી નથી. આ સ્પષ્ટપણે ભાજપની દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે. રાજ્યમાં પેન્ડીંગ કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કેસો ફાસ્ટટ્રેક કરવામાં આવે, દલિત અને આદિવાસી સમાજની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.








































