ગુજરાતના ન્યાયતંત્ર માટે આગામી દિવસો ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યા છે. રાજ્યની વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ન્યાયિક કામગીરીને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા જઈ રહી છે. આ ક્રાંતિકારી ફેરફારના ભાગરૂપે હવે પક્ષકારો અને વકીલોને ફ્રી ઈ-સર્ટિફાઈડ નકલો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સમય અને નાણાં બંનેની બચત કરશે.
આ નવતર પ્રયોગો અને ન્યાયિક સુધારા અંગે ચર્ચા કરવા માટે આગામી ૪ અને ૫ એપ્રિલના રોજ એક વિશેષ વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ બે દિવસીય સંમેલનમાં ન્યાયતંત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને ભવિષ્યના પડકારો વિશે ગહન ચર્ચાઓ કરવામાં આવશે.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિ વિક્રમનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ વિક્રમનાથ અગાઉ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે, તેથી તેમની ઉપસ્થિતિ આ ઇવેન્ટ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. તેઓ ન્યાયતંત્રમાં એઆઇના ઉપયોગ અને ડિજિટાઈઝેશનના મહત્વ પર માર્ગદર્શન આપશે.
આ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજિત ૫૭૫ જેટલા ન્યાયિક અધિકારીઓ ભાગ લેશે. આ ઉપરાંત, તાજેતરમાં નિમણૂક પામેલા ૧૦૩ જેટલા નવનિયુક્ત સિવિલ જજ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. નવા જજા માટે આ એક ઉત્તમ તક હશે જ્યાં તેઓ સિનિયર જસ્ટિસના અનુભવોમાંથી શીખી શકશે અને આધુનિક ન્યાયિક પ્રણાલીથી માહિતગાર થશે.










































