તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લા યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી “Nothing Like Voting, I Vote For Sure” ની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે
જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ. મુરલીક્રિશ્ન, ડિપાર્ટમેન્ટ આૅફ ગુજરાત સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર શ્રીમતિ પી. ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એમ.કે. દવે તથા રાજ્યના ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.