ક્યારે ખવાય અને ક્યારેન ખવાય એના કેટલાક નિયમો હોય છે. એ નિયમો જે સમજે અને પાળે એ સુખી થાય.
જોરદાર કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાઓ નહિ.
ભૂખ લાગી હોય ત્યારે જમી જ લો, રમવામાં, ટી.વી. જોવામાં કે લેશન કરવામાં જમવાનું ભૂલી ન જાઓ.
પેટ સાફ ન થયું હોય ત્યાં સુધી ન જમો.
દાંત મોં સાફ કર્યા હોય તો જ જમાય. નહીં તો નહીં.
એક વખત જમ્યા હોય તે પૂરેપૂરૂ પચી જાય પછી જ ફરી જમાય. એક વખત જમ્યા પછી ઓછામાં ઓછા ચાર કલાક વીતી જાય પછી જ ફરી નાસ્તો કરાય કે જમાય.
સવારે સૂર્યોદય ન થાય ત્યાં સૂધી ખવાય નહિ.
સાંજે સૂર્યાસ્ત થઈ જાય પછી પણ જમવું હિતાવહ નથી. મોડી રાત્રે તો ક્યારેય જમાય નહિ કે નાસ્તો કરાય નહીં. કેમકે આપણે ખાઈએ એને પચાવવાની શક્તિ સૂર્ય આપે છે. આકાશમાં જ્યારે સૂર્ય ન દેખાતો હોય ત્યારે પાચનની શક્તિ ઘટે છે. જ્યારે સૂર્યના કિરણો મળતા હોય ત્યારે જ વ્યવવસ્થિત પાચન થાય છે.
સવારે નાસ્તો કરવો હોય તો સાતથી આઠ વાગ્યાની વચ્ચે નાસ્તો કરી લેવો જોઈએ. બપોરનું ભોજન અગિયારથી બારની વચ્ચે કરવું વધારે હિતાવહ છે. બપોરે નાસ્તો ચારથી પાંચની વચ્ચે, સાંજનું ભોજન સાત વાગ્યાની આસપાસ અને રાત્રે દૂધ પીવું હિતાવહ છે. સાકર કે ગાયનું ઘી પણ દૂધમાં ઉમેરી શકાય છે.
જમતા પહેલાના અન્ય નિયમો પણ છે.
જેમકે, જમતા પહેલા હાથ, પગ, મોં ધોઈને કોગળા કરીને જમશો.
ડાઈનીંગ ટેબલ કરતા જમીન પર આસન પાથરીને જમવા બેસવું વધારે હિતાવહ છે. ઊભા રહીને ક્યારેય ન જમવું.
જમતા પહેલા પ્યાલો ભરીને પાણી પીવું ન જોઈએ.
ખૂબ ઝડપથી લુશ લુશ ન જમવું, તેમ જમવાથી પેટમાં પાચન થવામાં તકલીફ થાય છે.
જમતી વખતે વધારે વખત પાણી ન પીવું.
ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા કે ચોપડી વાંચતા વાંચતા જમવું જોઈએ નહિ.
ગમે તેટલું ભોજન સ્વાદિષ્ટ હોય તો પણ જરૂર કરતા વધારે જમાય નહિ.