તમિલનાડુમાં રાજ્યપાલ આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ તણાવ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. રાજ્યપાલે તાજેતરમાં તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બે મહત્વપૂર્ણ બિલોને મંજૂરી આપી છે, ત્યારબાદ સ્ટાલિને મજાક ઉડાવી અને કહ્યું કે સુપ્રીમ કોર્ટના દબાણને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ બિલોમાંથી એક બિલ ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીને નિયંત્રિત કરવા સંબંધિત છે, જ્યારે બીજું બિલ શિક્ષણ ક્ષેત્રમાં સુધારા લાગુ કરવા સંબંધિત છે. આ બિલો લાંબા સમયથી રાજભવનમાં પેન્ડીંગ હતા, જેના કારણે શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો ઝઘડો વધ્યો.

છેલ્લા કેટલાક મહિનાઓમાં,ડીએમકે સરકારે વારંવાર આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ બંધારણીય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. આ બિલોને મંજૂરી ન મળવાને કારણે, સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં આ મામલો સુનાવણી માટે પેન્ડીંગ હતો. સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતા સ્ટાલિને કહ્યું, “રાજ્યપાલને આખરે સુપ્રીમ કોર્ટની શક્તિનો અહેસાસ થયો છે. જા તેમણે પહેલાથી જ બંધારણીય ફરજા બજાવી હોત, તો આ પરિસ્થિ ઊભી ન થઈ હોત.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યપાલનું વલણ તમિલનાડુના લોકોના હિતની વિરુદ્ધ હતું અને તેનાથી સરકારના વિકાસ કાર્યમાં વિલંબ થયો હતો.

બીજી બાજુ, રાજ્યપાલ કાર્યાલયે દાવો કર્યો હતો કે મંજૂરી પહેલાં બિલોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે બંધારણીય માળખામાં તપાસ કર્યા પછી જ બિલોને મંજૂરી આપી હતી. જોકે, ડીએમકે અને અન્ય વિપક્ષી પક્ષોએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ પગલું સુપ્રીમ કોર્ટની સુનાવણી ટાળવા માટે એક રણનીતિ હતી. વિપક્ષી નેતાઓ અને ડીએમકે સમર્થકોએ તેને લોકોની જીત ગણાવી હતી, જ્યારે ભાજપે રાજ્યપાલના પક્ષમાં નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે તેમની બંધારણીય ફરજા બજાવી હતી.

આ ઘટનાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાના વિભાજન પર એક નવી ચર્ચા જગાવી છે. તમિલનાડુમાં ડીએમકે અને ભાજપ વચ્ચે પહેલાથી જ વૈચારિક મતભેદો રહ્યા છે, અને આ વિવાદ તે તણાવને વધુ વધારતો સાબિત થયો છે. ઓનલાઈન સટ્ટાબાજી બિલ વિશે ખાસ ચર્ચા થઈ છે, કારણ કે તે રાજ્યમાં ડિજિટલ સટ્ટાબાજીના ઝડપથી વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજું બિલ શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ સાથે સંબંધિત છે, જેનો હેતુ યુનિવર્સિટીઓમાં નિમણૂકો અને વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવાનો છે.