અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાનાં જીથુડી ગામમાં ગટરના દૂષિત પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામની પ્રાથમિક શાળાની બાજુમાં તેમજ ગામની મધ્યમાં ગટરનું દૂષિત પાણી ઊભરાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોના જનજીવન પર સીધી અસર પડી રહી છે. ગટરની દુર્ગંધ અને આસપાસ ફેલાતા મચ્છરોના ઉપદ્રવને કારણે બાળકો તેમજ ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ગ્રામજનોએ આ બાબતે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં આજ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સરકારે ગ્રાન્ટ ફાળવતા ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપલાઇન પણ નાખવામાં આવી હતી, છતાં હાલત એવી છે કે ગટરનું પાણી વારંવાર પાદરમાં અને શાળાની આજુબાજુ ઉભરાતું રહે છે. ગ્રામજનો તંત્ર પાસે આ સમસ્યાના કાયમી ઉકેલની માગણી કરી રહ્યા છે.