ઉના-ગીરગઢડા રોડ પર આવેલા રવિકાંત કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એસબીઆઈ લાઇફ ઇન્સ્યારન્સની ઓફિસ પાસેના એક બંધ ગોડાઉનમાં લાગેલી આ આગને કારણે કોમ્પ્લેક્સમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં રહેલા બેનરો, કાગળો અને ભંગાર માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. એસબીઆઈ લાઇફ ઇન્સ્યારન્સ ઓફિસના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉના નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે સમયસર કાર્યવાહી કરીને આગને વધુ વિકરાળ બનતા અટકાવી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.