ઉનાના નવાબંદરના ભાણાભાઈ કરશનભાઈની માલિકીની બોટ ત્રણ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગઈ હતી. બોટમાં ટંડેલ જીલુભાઈ સહિત કુલ નવ ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે જ્યારે બોટ કિનારાથી લગભગ ૪ નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહી હતી, તે સમયે અચાનક બોટના એન્જિનના પંખાનું સ્ટેન્ડ તૂટી ગયું હતું. આ ખામીને કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં તે ડૂબવા માંડી. બોટ ડૂબી રહી હોવાનું જણાતાં ટંડેલ જીલુભાઈ અને ખલાસીઓએ મદદ માટે બૂમો પાડી હતી. સદ્ભાગ્યે, તેમની જ કંપનીની અન્ય પાંચ બોટો નજીકમાં જ માછીમારી કરી રહી હતી. આ અન્ય બોટોના ટંડેલોએ તાત્કાલિક પોતાની બોટ નજીક દોડાવી અને ડૂબી રહેલી બોટમાંથી ટંડેલ સહિત તમામ નવ ખલાસીઓને ખેંચીને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ આકસ્મિક ઘટનાની જાણ વાયરલેસ મેસેજ દ્વારા બોટ માલિક ભાણાભાઈ કરશનભાઈને કરવામાં આવી હતી, જેના પગલે તેમના પુત્રો તુરંત દરિયામાં રવાના થયા હતા. પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા.







































