શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હવે માતોશ્રીમાં વધારાના આઠ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. આ અંગત ગાર્ડ હશે અને ઉદ્ધવના ઘરની સુરક્ષા કરશે અને તેમની સુરક્ષામાં પહેલાથી જ હાજર ઝેડ પ્લસ સુરક્ષાકર્મીઓ સાથે રહેશે. ગત વર્ષે પોલીસ સ્ટેશનમાં ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક હુમલાના કાવતરા અંગે ફોન આવ્યો હતો. હવે ઉદ્ધવે પોતાની સુરક્ષા વધારી દીધી છે.મુંબઈના મોટા નેતા બાબા સિદ્દીકીની ગયા વર્ષે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનસીપી નેતાની હત્યા બાદ અન્ય નેતાઓએ તેમની સુરક્ષા મજબૂત કરી છે.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર ખાનગી સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અંગત સુરક્ષા માટે આઠ વધારાના ગાર્ડ તૈનાત કરવામાં આવશે. હાલમાં ઉદ્ધવ ઠાકરેને ઝેડ પ્લસ સુરક્ષા છે, પરંતુ હવે માતોશ્રી પર ખાનગી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે. ગત વર્ષે ઉદ્ધવના કાફલામાંથી કેટલાક વાહનો હટાવવામાં આવ્યા હતા. આ પછી આદિત્ય ઠાકરેએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્પષ્ટતામાં પોલીસે કહ્યું હતું કે ઉદ્ધવની સુરક્ષા દૂર કરવામાં આવી નથી. તેમના કાફલામાં સામેલ વધારાના વાહનો હટાવી લેવામાં આવ્યા છે. ઉદ્ધવ સીએમ પદ પરથી હટી ગયા બાદ પ્રોટોકોલ વાહનો હટાવી દેવામાં આવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મી ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરેને વાય પ્લસ સુરક્ષા મળી છે. તેજસ ઠાકરેને પણ વાય પ્લસ સુરક્ષા મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ કર્યો હતો. બાદમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમના કાફલા પર થયેલા હુમલાથી એમએનએસ કાર્યકર્તાઓ નારાજ છે અને તેમણે તેમના કાર્યકરોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.