ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. તાજેતરમાં ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, ત્યારબાદ ઈરાને પણ હુમલો કર્યો. આ દરમિયાન, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કર્યો. તેમણે પીએમ મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી.
ઇઝરાયલી પીએમ ઓફિસ દ્વારા એકસ પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ જર્મન ચાન્સેલર, ભારતીય પીએમ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓ સાથે વાત કરી છે. તેઓ યુએસ પ્રમુખ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને બ્રિટિશ પીએમ સાથે પણ વાત કરશે.”
ઇઝરાયલી પીએમ ઓફિસની પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “ઈરાનના વિનાશના ભયને ધ્યાનમાં રાખીને નેતાઓએ ઇઝરાયલની સંરક્ષણ જરૂરિયાતો પ્રત્યેની તેમની સમજણ દર્શાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં પણ તેમની સાથે સંપર્કમાં રહેશે.” તે જ સમયે, પીએમ મોદીએ એક પોસ્ટમાં નેતન્યાહૂ સાથે વાત કરવાની માહિતી પણ આપી. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, “ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો.”
તમને જણાવી દઈએ કે અગાઉ ભારતે કહ્યું હતું કે તે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના વિકાસ અંગે ‘અત્યંત ચિંતિત’ છે અને પરિસ્થિતિ પર ‘નજીકથી નજર’ રાખી રહ્યું છે. ભારતે બંને દેશોને તણાવ વધે તેવા કોઈપણ પગલાથી બચવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ઇઝરાયલે ઈરાનમાં વિવિધ સ્થળોએ હુમલો કર્યો છે, જેમાં પરમાણુ અને મિસાઇલ સ્થળો અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.